Gir Somnath : વિશ્વના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના કરોડો ભાવિકો પ્રતિવર્ષ આવતા હોય છે. સોમનાથને અર્વાચીન ભારતનું વિકાસનું પ્રમાણ બિંદુ માનવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે.


15 દિવસીય સંસ્કૃત સંભાષણ-પ્રશિક્ષણ વર્ગ શરૂ 
સોમનાથ ટ્રસ્ટ અને  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ નું 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. 70 અધ્યેતા માટે સવાર અને સાંજ ના સમયે 2 વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃત નો ઉપયોગ શરૂ થશે દેશ-વિદેશના આવતા યાત્રિકો સાથે સોમનાથ ટ્રસ્ટના પુજારી શુદ્ધ સંસ્કૃતમાં સંભાષણ કરશે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહ થી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે આ વિચારને અનુકરણમાં મૂક્યો છે. 


દર્શનાર્થીઓ માટે અનુકરણીય બનશે આ પહેલ 
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશોમાં સંસ્કૃતિના સંવર્ધન અને પ્રચાર-પ્રસારનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત યુનિવર્સિટીના નિર્માણમાં પણ ઉત્કૃષ્ટ ફાળો આપવામાં આવ્યો હતો, ત્યારે હવે સોમનાથ મંદિરના પૂજારીગણ સંસ્કૃત ભાષામાં પ્રત્યાયન કરીને ગર્ભગૃહની શોભામાં અભિવૃદ્ધિ કરશે સાથે જ બહારથી આવતા યાત્રીઓ માટે સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા સંસ્કૃતમાં થતું પ્રત્યાયન અનુકરણીય અને આકર્ષક બનશે. 


જનસમાજને સંસ્કૃત ભાષાની જરૂર : પદ્મશ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી
કાર્યક્રમનાં ઉદઘાટક અને ભારતીય ચલચિત્રમાં ખ્યાતિ મેળવનાર ચાણક્ય ધારાવાહિકના નિર્માતા અને ચાણક્ય પાત્ર ભજવનાર અભિનેતા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સંસ્કૃત પ્રત્યાયનના આ વિચારનું અભિનંદન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃત માં વસેલું છે. સંસ્કૃત દૂર જવા નો અર્થ એ છે કે આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે શક્તિશાળી છે. જનસમાજને સંસ્કૃત ભાષાની જરૂર છે નહીં કે સંસ્કૃત ભાષાને બોલનારાની. ત્યારે સોમનાથ મંદિરના પૂજારી ગણ અને ઋષિકુમારો માટે સંસ્કૃત સંભાષણ વર્ગના ઉદેશ્ય અંગે તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


સંસ્કૃત સંભાષણ ખૂબ જ સરળ છે : કુલપતિ પ્રો.ડૉ.લલિતકુમાર પટેલ 
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.ડૉ.લલિતકુમાર પટેલે પોતાના સંસ્કૃત ભાષામાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા શીખવી અઘરી છે તેવી લોકો એ માનસિકતા કેળવી છે પરંતુ સંસ્કૃત ભાષાની અંદર બોલાયેલા શબ્દો અને વાક્યો એટલા સમજવામાં સરળ છે કે જે વ્યક્તિ સંસ્કૃત નથી જાણતો તે પણ વાક્ય નો ભાવ અને સંદેશ સમજી શકે છે. સંસ્કૃત સંભાષણ ખૂબ જ સરળ છે. સોમનાથ મંદિરના પૂજારી ગણ શાસ્ત્રોમાં પારંગત છે,  વ્યવહારની ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે ત્યારે તેમના કથનની અસરકારકતા અનેક ગણી વધારે જોવા મળશે.