ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારે 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં શાળાઓ તો પહેલેથી બંધ છે અને હવે જલદી ખૂલે તેવી શક્યતા નથી એ જોતાં રાજ્ય સરકાર ઘોરણ 1થી ધોરણ 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં ચડાવી દેશે એવું જાણવા મળે છે.


સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિજય રૂપાણી સરકારે સૈધ્ધાંતિક રીતે આ નિર્ણય લઈ લીધો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં તેને સત્તાવાર રીતે મંજૂરી મળી જાય પછી તેની જાહેરાત કરાશે. આ ઉપરાતં ચાલુ વર્ષે અગાઉનાં વરસોની જેમ જ શૈક્ષણિક સત્ર પણ રાબેતા મજુબ ચાલુ થશે. સીબીએસઈની પેટર્ન પ્રમાણે માર્ચ મહિનાથી નવું સત્ર શરૂ કરવાનું શક્ય ના હોવાથી આ વર્ષે જુન મહિનાથી જ શૈક્ષણિક સત્ર ચાલુ થશે.