Gujarat:  રાજ્યના નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકો બાળકોને ભણાવતા હોવાનો સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં RTE ની જોગવાઇ મુજબ લાયકાત ના ધરાવતા શિક્ષકો હોવાનું સામે આવ્યું છે.


શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો લેખિતમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 1885 શિક્ષકો લાયકાત વગરના છે. રાજ્યની 760 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો.


સરકારના બચાવમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે તાલીમી શિક્ષકો ના મળતા હોવાથી લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે.


ક્યાં કેટલી શાળામાં લાયકાત વગરના કેટલા શિક્ષકો ?


 -અમદાવાદની 306 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 805 શિક્ષકો લાયકાત વગરના
-રાજકોટની 148 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 312 શિક્ષકો લાયકાત વગરના
-સાબરકાંઠાની 9 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 16 શિક્ષકો લાયકાત વગરના
-ભાવનગરની 79 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 241 શિક્ષકો લાયકાત વગરના
-જામનગરની 3 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 6 શિક્ષકો લાયકાત વગરના
-અમરેલીની 32 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 65 શિક્ષકો લાયકાત વગરના
-ભરૂચની 6 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 11 શિક્ષકો લાયકાત વગરના
-બનાસકાંઠાની 37 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 73 શિક્ષકો લાયકાત વગરના
-સુરેન્દ્રનગરની 48 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 122 શિક્ષકો લાયકાત વગરના
-ગાંધીનગરની 55 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 136 શિક્ષકો લાયકાત વગરના
-બોટાદની 3 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 11 શિક્ષકો લાયકાત વગરના
-ગીર સોમનાથની 34 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 87 શિક્ષકો લાયકાત વગરના


 


નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાના બીજા દિવસે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટનો મુદ્દો પણ ગૃહમાં ગૂંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં NAACની માન્યતાને લઈને સવાલ પૂછ્યો હતો જેના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો હતો કે ગુજરાતમાં 88 યુનિવર્સિટીઓ અને 2 હજાર 371 કોલેજો પાસે NAACની માન્યતા નથી અને 20 યુનિવર્સિટી તથા 97 કોલેજ પાસે જ NAACની માન્યતા છે. બાકી રહેલી યુનિવર્સિટી અને કોલેજને માન્યતા મેળવવા માટે સૂચના આપવામાં આવી છે.


બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યની 926 સ્કૂલો માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક શિક્ષકથી ચાલતી સૌથી વધુ શાળાઓ કચ્છ અને મહિસાગર જિલ્લામાં છે. તો તાપી, નર્મદા અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા 50થી વધુ છે.