દિવાળીના તહેવારને લઈને એસટી વિભાગે એકશન પ્લાન બનાવ્યો છે. એસટી વિભાગે દિવાળીના તહેવાર પર વધારાની 2 હજાર બસ દોડાવવાનું આયોજન કર્યું છે. મુસાફરોને હાલાકી ના પડે તે માટે આ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો છે બાકી ત્યારે ગુજરાત વાહન વ્યવહાર નિગમ તરફથી તહેવારો દરમિયાન વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકો મોટા પ્રમાણમાં પોતાના વતને જતા હોય છે ત્યારે વતન જતા મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ તરફથી વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે.


ચાલુ વર્ષે દિવાળીએ ગુજરાત એસટી નિગમ તરફથી અંદાજિત 2 હજાર જેટલી વધારાની બસો પ્રવાસીઓ માટે દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ વખતે એસટી નિગમ તરફથી શ્રમિક વર્ગને પણ કોઈ હાલાકી ન પડે તેની તકેદારી રાખી છે. વતન જવા માંગતા શ્રમિકોને પોતાના નિશ્ચિત સ્થળ પરથી એક સાથે બસના તમામ પ્રવાસી જેટલી સંખ્યા થાય તો એસટી નિગમ ઓન ડિમાંડ બસ સ્થળ પર પહોંચાડશે. જ્યાંથી તેમને વતનમાં પહોંચાડવામાં આવશે.


અગાઉ ગયા સપ્તાહમા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રાજ્યભરમાં કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરી હતી. અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. જ્યારે 9 મહિના દરમિયાન 2 હજાર 883 મુસાફરો પણ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા હતા. આ તરફ રાજકોટ ડિવીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં કુલ 32 કટકીબાજ કંડકટર ઝડપાયા છે. કટકીબાજ કંડકટરો મુસાફરો પાસેથી ટિકિટના રૂપિયા લઈ લેતા હતા પણ ટિકિટ આપતા ન હતા. આવા કટકીબાજ કંડકટરો સામે એસટી વિભાગ તરફથી પેનલ્ટી, ઈન્ક્રીમેન્ટ અટકાવવા સહિતના પગલા લેવામાં આવ્યા હતાં.