રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાતની આસપાસના વિસ્તારમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી એક સપ્તાહ સુધી નવું લો-પ્રેશર બનવાની શક્યતા નહીં હોવાથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો ૮૭.૩૦ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ૩૦ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૧૦.૩૮ ટકા છે.


હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડે તેની સંભાવના નથી.


રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે. ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૩૭.૧૪ ટકા જળસંગ્રહ છે અને ચાર  જળાશયો હાઇ એલર્ટ પર છે. તો ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું.


રાજ્યમાં હવે પાંચ દિવસ મેઘરાજા ખમૈયા કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.5 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સારો વરસાદ વરસતા હવે ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે. રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર 8.06 ટકા થયું છે. રાજ્યમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. વરસાદ વરસશે તેમ આગામી દિવસોમાં વાવેતરમાં પણ વધારો થશે.


અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 80 હજાર હેકટરમાં કપાસ, મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરાયું છે. જે પૈકી 54 હજાર હેકટરમાં તો આગોતરૂ વાવેતર કરી નખાતા ખેડૂતોને ફાયદો થયો છે. વરસાદે વિરામ લેતા ઉપલેટા તાલુકામાં ખેડૂતોએ પાકમાં બેલી શરૂ કરી છે. ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે મોટાભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું આગોતરુ વાવેતર કર્યું હતું. હાલ રાજકોટ જિલ્લામાં વાવણી સમયે જ મજૂરોની અછત સર્જાઈ છે. મજૂરો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કોરોનાના કારણે શ્રમિકો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ચાલ્યા ગયા હતાં. જે આજ સુધી પરત ન ફરતા શ્રમિકોની અછત સર્જાઈ છે.