સુરતઃ દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે.  કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો ખતરો રોકવા 119 લોકોને ક્વોરેન્ટાઈ કરાયા છે.


કેન્દ્ર સરકારે વિદેશથી સુરત આવેલા લોકોની યાદી રાજય સરકારને સોંપી હતી. આ યાદી સુરત મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. આ યાદી પ્રમાણે કુલ 119 લોકો વિદેશથી આવ્યા છે. આ તમામ લોકોને  ફરજિયાત કવોરન્ટાઈન કરી દેવાય છે અને હવે તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાવાશે. યુ.કે અને આફ્રિકા સિવાયના લોકોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘર બહાર નીકળી શકશે નહીં. અન્ય દેશમાંથી આવેલા લોકોના રિપોર્ટના આધારે નિર્ણય કરાશે તેમ મહાનગરપપાલિકા અધિકારીઓનું કહેવું છે. છેલ્લા પાંચ દિવસમાં ઓસ્ટ્રેલિયાથી એક, કેનેડાથી છ, પનામાથી એક, યુકેથી ચાર, યુએસથી 17 એમ કુલ 29 લોકો સુરત આવ્યા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. આ પૈકી શહેરમાં 6 કેસ મળ્યા છે તેથી કોરોના કાબૂમાં છે પણ નવા વેરીયન્ટના કારણે લોકોમાં ડર છે.



આફ્રિકન દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાયો છે. તેના કારણે સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોના ઘણા પરિવારો ફસાયા છે. બોત્સવાનામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરત, ગણદેવી, અને નવસારીના પરિવારો ચૂંક સમયમાં લગ્નો માટે આવવાના હતાં. આ પરિવારો પણ હાલમાં ફસાઈ ગયા છે. બીજી તરફ બોત્સવાનાથી દિલ્હી-મુંબઈ જતી કતાર અને અમીરાત એરલાઈન્સની ફલાઈટ રદ થઈ છે. બોત્સવાનામાં ફસાયેલા પરિવારો હવે ભારત સરકાર મુંબઈ, દિલ્હી અથવા ડાયરેક્ટ સુરતની સ્પેશિયલ ફ્લાઈટ કરે તેવી માંગણી કરી રહ્યાં છે. કતાર એરલાઈન્સે 30 નવેમ્બર સુધી ફલાઈટ રદ કરી છે.


 બીજી તરફ કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનનો ખતરો છે તેવા નવ દેશોમાંથી ગુજરાત આવનારા તમામ પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે.  આ નવ જોખમી દેશોમાંથી જો કોઈ પ્રવાસી ગુજરાત આવશે તો તે જ તબક્કે તેમને ફરજીયાત આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. ઓમિક્રોન તરીકે ઓળખાતા કોરોનાના નવા વાયરસના ફેલાવા માટે વિશ્વના નવ દેશોમાંથી આવતા નાગરિકો જોખમી હોવાનું હાલ પૂરતુ ઠેરવવામાં આવ્યું છે. આ નવ દેશોમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચીન, મોરેશિયશ, ન્યૂઝિલેંડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ કરાયો છે. વિશ્વભરના દેશો આ દેશોમાંથી પ્રવાસ કરતા નાગરિકો અંગે ચિંતિત છે.. તેથી તેમાંથી આવનારા દેશના નાગરિકોએ વેક્સિન રસીનો સંપૂર્ણ ડોઝ ન લીધો હોય તો તેને માટે આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ એયરપોર્ટથી તેમની સીધી એંટ્રી થવાની સંભાવના રહેલી છે. તેથી કેંદ્રના ગૃહ ખાતાએ 11 નવેમ્બરે જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપી છે.