Valsad: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો યથાવત છે. વલસાડના નેશનલ હાઇવે નં 48 પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. મળતી વિગત પ્રમાણે, વલસાડ નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા કારના ફુરચા ઉડી જતાં કાર ચાલકનું કરૂણ મોત થયું હતું. મૃતક યુવકનું નામ પ્રશાંત પટેલ છે. તે દમણની આલકેમ ઈન્ડસ્ટ્રીમાં નોકરી કરતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આણંદના ભાદરણ પાસે સ્કૂલ બસને નડ્યો  અકસ્માત


આજે વહેલી સવારે આણંદના ભાદરણ પાસે સ્કુલ બસને અકસ્માત નડ્યોછે. જેમાં ઘાયલ થયેલી એક વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે અક્સ્માતમાં તમામ અન્ય બાળકોનો આબાદ બચાવ થયો. બસ રોડની સાઈડમાં ટર્ન ઓવર થતાં બનાવ બન્યો હતો. અક્સ્માત થતાં સ્થાનિકોના ટોળા એકઠાં થયા હતા. જે બાદ વાલીઓ બાળકોને લઈને ઘરે નીકળી ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


માતાએ દિયર સાથેના પ્રેમસંબંધમાં પુત્રની હત્યા કરી


અંકલેશ્વરના સારંગપુર ગામમાં બાળક ગુમ થયા બાદ મળી આવેલી તેની લાશમાં ફરિયાદી માતા અને કાકા જ હત્યારા નીકળ્યા હતા. 8 વર્ષથી ચાલતા પ્રેમ સંબંધમાં ઉત્તરપ્રદેશ પોલીસમાં ડ્રાઈવર રહેલા કાકાએ પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે તેઓ બીજી હત્યાને અંજામ આપે તે પહેલા ભરૂચ પોલીસે પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના સત્યપ્રકાશ યાદવનો 13 વર્ષીય પુત્ર અઠવાડિયા પહેલા ગુમ થયો હતો.  જે અંગે તેની માતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કિશોરની લાશ મળી આવ્યા બાદ હત્યાની કલમ ઉમેરાઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ કરતાં મૃતક છેલ્લે તેના કાકા સાથે જોવા મળ્યો હતો. જેથી પોલીસે કાકા ભગવંતસિંહની પૂછપરછ કરતાં હત્યાનો ખુલાસો થયો હતો. યુપી પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો ભગવતસિંહ અપરણિત છે. તેને કૌટુંબિક ભાઈ સત્યપ્રકાશની પત્ની મમતાદેવી સાથે છેલ્લા આઠ વર્ષથી આડાસંબંધ હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. જેથી તેમણે વકીલની સલાહ લીધી હતી. વકીલે જણાવ્યું કે, છૂટાછેડા કે વિધવા ન થાય ત્યાં સુધી પરિણીતાના અન્ય રજીસ્ટર મેરેજ શક્ય નથી. જોકે મમતાદેવીને પતિ છૂટાછેડા આપે તેમ ન હોવાથી તેણે પ્રેમી સાથે મળી પતિને હટાવવાનું નક્કી કર્યું હતું. આયોજનના ભાગરૂપે તે અંકલેશ્વરમાં પ્રેમિકાના ઘરે રહેવા આવી ગયો હતો. બંનએ પહેલા ક્રિષ્નાને રસ્તામાં હટાવવાનું નક્કી કર્યું હતું. જે મુજબ ભગવંતસિંહ 23 જાન્યુઆરીએ મૃતકને સાયકલ પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના કપડાં કાઢી લઈ લાશને પાણીમાં ફેંકી દીધી હતી.