નવસારી: નવસારીના વિજલપોર પાલિકાના પ્રમુખ સહિત 150 કાર્યકર્તાઓએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે. થપ્પડકાંડને લઈને નગરપાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. જગદીશ મોદીના પગલે બીજા 150 જેટલા કાર્યકર્તાઓએ પણ રાજીનામા આપી દીધા છે.


બળવાખોર ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ ન કરતા ભાજપ કાર્યકર્તાઓ નારાજ થયા હતા. નવસારી ભાજપને આ રીતે ફટકો લાગતા અનેક રાજકીય અટકળો શરૂ થઈ ચૂકી છે. બળવાખોર ઉમેદવારોએ જગદીશ મોદીને થપ્પડ મારવાના મામલે આ ઘટના વિવાદાસ્પદ બની હતી.

બળવાખોર સભ્યો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આ બળવાખોર સભ્યોને પક્ષમાંથી દૂર ન કરાતા 150 જેટલા કાર્યકર્તાઓ નારાજ થયા હતા. જેમાં જગદીશ મોદીનો પણ સમાવેશ થાય છે. આ 150 કાર્યકર્તા સહિત જગદીશ મોદીની માંગ છે કે, આ બળવાખોર સભ્યોને તાત્કાલિક પક્ષમાંથી દૂર કરવામાં આવે.