રાજ્યમાં 70 માળનું બિલ્ડિંગ બનાવવા માટે બિલ્ડરે પાળવા પડશે ક્યા નિયમો ? જાણો રૂપાણી સરકારના મોટા નિર્ણય વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Aug 2020 10:48 AM (IST)
મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે રહેશે. બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે.
અમદાવાદઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યનાં પાંચ મોટાં શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 માળ સુધીની ઈમારતોના નિર્માણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે આ 70 માળની ઉંચાઈ સુધીની બિલ્ડીંગના નિર્માણ માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) 1:9 કે વધુ હોય તેને લાગુ થશે. આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે. AUDA/SUDA/VUDA/RUDA અને GUDA સહિતનાં સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનિકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે. આ મંજૂરી 30 મીટર કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે. આ નિયમ પ્રમાણે બિલ્ડિંગની ઉંચાઈ 100થી 150 મીટર રાખવા માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચોરસ મીટર હોવો જરૂરી છે જ્યારે 150 મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચોરસ મીટર હોવો જરૂરી છે. મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે રહેશે. બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. પ્રિમીયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર હશે અને ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે . આ ઉપરાંત રહેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે. પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.