અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કરી દીધો પણ શાળા સંચાલકોને વિદ્યાર્થીઓને રાહત આપવા કહ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને શાળા સંચાલકોને રાહતની ફોર્મ્યુલા નક્કી કરવા કહ્યું હતું પણ શાળા સંચાલકો કોઈ રાહત આપવા તૈયાર નથી એવી રાજ્ય સરકારે રજૂઆત કરતાં કોર્ટે એક અઠવાડિયામાં ખુલાસો કરવા શાળા સંચાલકોને આદેશ આપ્યો છે. હવે આવતા શુક્રવારે આ કેસમાં સુનાવણી થશે.


ખાનગી સ્કૂલોની ફી માફ કરવાના ફી મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી કે, શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર નથી. આ સંજોગોમાં કોર્ટ જરૂરી નિર્દેશ આપે એવી સરકારની માંગ હતી. હાઈકોર્ટે શાળા સંચાલકોને આ અરજીના પગલે હુકમ કર્યો છે કે, સરકારની અરજીના જવાબમાં શાળા સંચાલકો પોતાનું વલણ સ્પષ્ટ કરે અને જે પણ જવાબ આપવાનો હોય એ એફિડેવિટ કરીને આપે. કોર્ટે સુનાવણી આવતા શુક્રવાર પર નિયત કરી ને ત્યાં સુધીમાં શાળા સંચાલકોને ખુલાસો કરવા આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે આ પહેલાં વ્યાપક હિતમાં ખુલ્લા મન અને ખુલ્લા હ્યદયથી સમાધાન કારી વલણથી વાટાઘાટો કરવા સરકાર અને શાળા સંચાલકોને ટકોર કરી હતી પણ સમાધાનની વાટાઘાટો સફળ નહી થતાં સરકારે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.