અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની શરૂઆત તો કરવામાં આવી. પરંતુ મેંટેનંસ માટે નવ એપ્રિલે માલદીવ ગયેલ સી-પ્લેન હજુ પણ પરત ન આવતા સી-પ્લેન સર્વિસનું સુરસુરીયુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. મુલાકાતીઓ માટે કેવડિયા ખુલ્યુ પણ સી-પ્લેન સેવા બંધ છે. દેશમાં પ્રથમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી એક નવેમ્બર 2020થી સી-પ્લેન સફર શરૂ કરાઈ હતી.


સી-પ્લેનના મેંટેનંસનની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનંસ માટે માલદીવ મોકલાય છે. ફ્લાઈંગ અવર પૂરા થતા ફ્લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે નવ એપ્રિલે સી-પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતા સી-પ્લેન 75 દિવસે પણ પરત નથી આવ્યુ. હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી-પ્લેનનું સંચાલન ક્યારથી શરૂ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવુ એયરલાઈંસે જણાવ્યું છે.


સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબર, 2020ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી- પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહેલી સફર માણી હતી. 50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ સી- પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને તેની શરૂઆત કરાવી હતી.


નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં 62 કરોડના ખર્ચે રોપ-વે બનાવી રહી છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રોપ-વે પાંચ સહાયક ટાવર સાથે એલિવેટેડ હશે અને તેની ઉંચાઇ બંધની ઉંચાઇથી વધુ હશે.


આ જગ્યાએ સફારી પાર્ક, કેકટ્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, રિવર રાફ્ટીંગ, બટરફ્લાય પાર્ક, ટેન્ટસિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, સી-પ્લેન સહિતના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ સરકારે કુલ 4000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.


સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીને આકર્ષવા માટે બે ગિરિમાળાને જોડતો વિશ્વકક્ષાનો રોપ-વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં યુરોપિયન ડિઝાઇન ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટ્સ ગાર્ડને જોડતો રોપ-વે બનશે જે 1.25 કિલોમીટર લાંબો હશે.