અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે શુક્રવારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં દોધમાર વરસાદ થાય તેવી સંભાવના છે.

આ ઉપરાંત પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ કચ્છ પંથકમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. ત્યાર બાદ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે.

બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થયું છે. જેની અસર 27થી 30 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. એટલું જ નહીં લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતાં 27 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જે અત્યાર સુધીની વરસાદની ઘટ પૂરી કરશે.

હવામાન વિભાગે આગામી તા. 29મી સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને હાલમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારમાં એક હવાનું ચક્રવાત સર્જાયું છે. જ્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આજે વિકસિત થવાની શક્યતા છે.

આ બંને સિસ્ટમને કારણે રાજયની બે મુખ્ય નદીઓ તાપી અને નર્મદાના ઉપરવાસમાં પણ સારો વરસાદ આવવાની શક્યતા છે. ખાસ કરીને તા. 28મી સુધી દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ બે દિવસ સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી થઈ છે.