અમદાવાદઃ ગાંધીનગરના ડો. ધર્મેશ પ્રજાપતિએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરીને, મસ્જિદમાં લાઉડ સ્પીકર પર આઝાન પોકારવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવા વિનંતી કરી છે. આ જાહેરહિતની અરજી (PIL)મા રજૂઆત કરાઈ છે કે, દરકે મસ્જિદમાં દિવસમાં 5 વખત લાઉડ સ્પીકર પર આઝાન પોકારવામાં આવે છે તેથી આસપાસ રહેતા અન્ય ધર્મનાં લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમણે લાઉડ સ્પીકર પર અઝાન પોકારવા પર પ્રતિબંધ મૂકાવવા દાદ માગી છે.


ડો. ધર્મેન્દ્ર પ્રજાપતિ વતી એડવોકેટ ધર્મેશ ગુર્જરે રજૂઆત કરી છે કે, મસ્જિદમાં લાઉડ સ્પીકર પર દિવસમાં 5 વાર આઝાન પોકારવામાં આવે છે તેથી આસપાસ રહેતા લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે અને બંધારણમાં મળેલા તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. આમુદ્દે કલેકટર ઓફિસમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઇ પગલા લીધા નથી. પોલીસમાં પણ ફરિયાદ કરી છે પણ તેના પર પણ કોઇ પગલાં લેવાતાં નથી તેથી કોર્ટ આ અંગે આદેશ આપે.

અરજીમાં રજૂઆત કરાઇ છે કે, લાઉડ સ્પીકરના અવાજના કારણે મસ્જિદની આસપાસ રહેતા વૃધ્ધો અને બાળકોની મુશ્કેલી વધી ગઇ છે. બપોરે અઝાન પોકારાય તેથી વૃધ્ધો અને બાળકો મોટા અવાજથી જાગી જાય છે. માનસિક સમસ્યા અને તાણ વધતા જાય છે. આ સમસ્યા તાત્કાલિક દૂર કરવા વિનંતી કરવામાં આવી છે.