થરાદઃ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં પ્રેમીએ પ્રેમીકાના દોઢ વર્ષના દીકરાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બુકણા ગામની પરણીત યુવતી દોઢ વર્ષના બાળકને લઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી, પરંતુ બાળક સતત રડ્યા કરતાં પકડાઇ જવાની બીકે પ્રેમીએ બાળકની હત્યા કરી નાંખી હતી. આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.


આ અંગેની વિગતો એવી છે કે, મૂળ વાવ તાલુકના બુકણા ગામે રહેતા ભરતભાઈ ઠાકોર પત્ની મંજુલાબેન અને દોઢ વર્ષનો દીકરો સંદીપ ઉર્ફે રવિ થરાદ તાલુકાના ચારડા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. ગત 24મી ઓક્ટોબરે આઠમા નોરતાના દિવસે માતાજીની પડલી ભરવા બુકણા ગયા હતા અને બીજા દિવસે 25મી ઓક્ટોબરે ચારડા જવા માટે વાવ બસ સ્ટેન્ડમાં બેઠા હતા. અહીંથી તેવો દીકરા સંદીપના વાળ કપાવવા માટે ગયા હતા. જોકે, સંદીપે વાળ કાપવા ન દેતા તેઓ ફરીથી બસ સ્ટેન્ડ આવી ગયા હતા.



થોડીવાર પછી મંજુલાબેને વોશરૂમ જવાનું કહીને પોતાના દીકરા સાથે શૌચાલય તરફ ગયા હતા. અહીં ભોરડુ ગામનો ઉદાભાઈ માજીરાણા બાઇક લઈને ઉભો હતો. જેની સાથે પરિણીતા દીકારીને લઈ ભાગી ગઈ હતી. જે જોઈ જતાં પતિ ભરતભાઈએ બુમાબૂમ કરી હતી. જોકે, પ્રેમી તેની પત્નીને ભગાડી ગયો હતો. આ પછી પતિ ભરતે પોતોના સાસરિયામાં જઈને બધી વાત કરતાં તેમણે દીકરી મંજૂલા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી.

બીજી તરફ મંજુ અને પ્રેમી ઉદો દોઢ વર્ષના સંદીપ સાથે થરાદ તાલુકાના જેતડા સ્થિત માતાજીના મંદિરમાં રોકાયા હતા. અહીં સંદીપ ખૂબ રડ રડ કરતો હતો. તેમજ ચૂપ થવાનું નામ લઈ રહ્યો નહોતો, જેથી પકડાઈ જવાની બીક લાગતા મંજુ અને ઉદાએ ગળું દબાવીને દીકરા સંદીપની હત્યા કરી નાંખી હતી.



આ તરફ ભરતભાઈ અને તેના સાસરીવાળાએ મંજુ અને તેના પ્રેમીને પકડી પાડ્યા હતા અને તેમને પિયર પીરગઢ લઈ આવ્યા હતા. આ સમયે મંજુએ પોતાના દીકરાને કપડામાં વીંટોળેલો હતો. આ અંગે પૂછપરછ કરતાં મંજુએ પ્રેમી સાથે મળીને દીકરાની હત્યા કરી નાંખી હોવાની કબૂલાત કરી હતી. આ પછી સંદીપને થરાદની હોસ્પિટલમાં પીએમ માટે લવાયો હતો. ભરત ઠાકોરે પત્ની મંજુલા અને પ્રેમી ઉદા માજીરાણા સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં બંનેને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.