નવી દિલ્હી: પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયાના સમાચાર છે. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના મતે ચીનના 43 સૈનિકોના મોત થયા છે અથવા ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે.  એએનઆઈના સૂત્રોના મતે LAC પર હિંસક ઝડપની ઘટના પછી ગલવાન ઘાટીમાં ચીની હેલિકોપ્ટરની ગતિવિધિમાં સતત વધારો થઈ રહ્યો છે.


સેનાએ એક નિવેદનમાં કહ્યું કે શહીદ થનાર 20માંથી 17 સૈનિક ગતિરોધ વાળા સ્થાન પર શૂન્યથી નીચા તાપમાનમાં ડ્યૂટી દરમિયાન ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા હતા.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત-ચીન ઝડપ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે LAC પર થયેલી હિંસા અને મોતના રિપોર્ટ પર ચિંતિચ છીએ. અમે બંને પક્ષોને વધારે સંયમ રાખવાની વિનંતી કરીએ છીએ.

સરકારી નિવેદન પ્રમાણે ચીને ભારતીય સૈનિકો પર પથ્થર અને સળિયા વડે હુમલો કર્યો હતો. પરંતુ કોઈ પ્રકારનું ફાયરિંગ થયું ન હતું. માટે આ ઘટના નવાઈપ્રેરક મનાઈ રહી છે. કેમ કે ફાયરિંગ વગર પણ મોત નિપજ્યા છે.

દરમિયાન ચીને જણાવ્યુ હતુ કે ગલવાન વિસ્તાર તો પહેલેથી જ અમારો છે! ચીને આ વિસ્તારમાં ઘાયલ થયેલા પોતાના સૈનિકોને ઉગારવા માટે હેલિકોપ્ટરના આંટા-ફેરા વધારી દીધા હતા.

આ ઘટના પછી સંરક્ષણ મંત્રીએ વડા પ્રધાનને સમગ્ર સ્થિતિ વાકેફ કર્યા હતા. સાથે સાથે સંરક્ષણ મંત્રી, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, સૈન્યની ત્રણેય પાંખના વડા, વિદેશ મંત્રી વચ્ચે આ મિટિંગ પણ થઈ હતી. સ્થિતિ વધારે ગંભીર ન બને એ માટે બન્ને પક્ષના મિલિટરી અિધકારીઓ ચર્ચા પણ કરી રહ્યા છે.

બીજી તરફ ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે જે નિર્ધારિત લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ છે, એ ભારતીય સૈનિકોએ ઓળંગી હતી. એટલે કે ભારતીય સૈનિકો ચીનના કબજાના લદ્દાખમાં પ્રવેશ્યા હતા. માટે આ સંઘર્ષ થયો હતો.

સ્થાનિક પ્રવાસી અને હિમાલયના ભોમિયા  ગુલામ રસૂલ ગલવાનના નામે અહીંની નદી ગલવાન નદી નામે ઓળખાય છે. 80 કિલોમીટર લાંબી ગલવાન નદી ચીની કબજાના કાશ્મીર (અક્સાઈ ચીન)માંથી નીકળીને શ્યોક નદીને મળે છે.