નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીથી મોટા સમાચાર આવી રહ્યા છે. દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં બે લોકો હૃદયની બીમારીની સારવાર કરાવવા માટે આવ્યા હતા. જે બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલ સ્ટાફમાં હાહાકાર મચી ગયો હતો.


બંને દર્દીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા 39 સ્વાસ્થ્યકર્મીઓને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને તેમને મેક્સ હોસ્પિટલના આઈસોલેટ વિંગમાં રાખવામાં આવ્યા છે. મેક્સ હોસ્પિટલમાં કોરોના વાયરસ વોર્ડમાં 139 કર્મચારી તૈનાત છે. જેમાંથી કોઈપણ તેમના સપંર્કમાં આવ્યા નહોતા. આ કર્મચારીઓ શિફ્ટમાં કામ કરી રહ્યા છે અને હોસ્પિટલમાં જ રહે છે.

દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 1154 પર પહોંચી છે. જેમાંથી 24 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઠીક થઈ ગયા છે. રવિવારે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું, કેટલાક લેબ ડેટા બતાવે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોવિડ-19 પર થોડો પ્રભાવ પાડી શકે છે. પરંતુ આ ડેટા સચોટ નથી. આઈસીએમઆરના નિષ્ણાતોએ જણાવ્યું છે કે કોવિડ-19 રોગીઓના સંપર્કમાં આવતા લોકો અને દર્દીની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સહાયક બની શકે છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી દરેકની સારવાર શક્ય નથી. તેનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. આ દવાની કેટલીક આડઅસર પણ છે. જે આમ આદમીને ફાયદો પહોંચાડવાના બદલે નુકસાન વધારે કરી શકે છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9152 પર પહોંચી છે. જેમાંથી 308 લોકોના મોત થયા છે. જ્યારે 856 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.