નવી દિલ્હીઃ ઉગ્રવાદની સમસ્યાનો સામનો કરી રહેલા આસામમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યમાં આઠ પ્રતિબંધિત સંગઠનોના 644 ઉગ્રવાદીઓએ 177 હથિયારો સાથે ગુરુવારે આત્મસમર્પણ કર્યું છે. પોલીસે કહ્યું કે, ઉલ્ફા, એનડીએફબી, આરએનએલએફ, કેએલઓ, સીપીઆઇ (માઓવાદી), એનએસએલએ, એડીએફ અને એનએલએફબીના સભ્યોએ એક કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં આત્મસમર્પણ કર્યું હતું.


ડીજીપી જ્યોતિ મહંતાએ પત્રકારોને કહ્યું કે, રાજ્ય માટે અને આસામ પોલીસ માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આઠ ઉગ્રવાદી સંગઠનોના કુલ 644 કાર્યકર્તાઓ અને નેતાઓએ આત્મસમર્પણ કર્યું છે. આટલા મોટા પ્રમાણમા ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ રાજ્ય પોલીસ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

મહંતાએ કહ્યું કે, ઉગ્રવાદીઓએ જે હથિયારોને સોંપ્યા છે તેમાં એકે-47, એકે-56 જેવી અનેક અત્યાધુનિક હથિયારો છે. તેમણે કહ્યું કે, આજે આસામ માટે ઐતિહાસિક દિવસ છે. આ ઉગ્રવાદીઓને આસામ પોલીસમાં સ્થાન આપવામાં આવશે. નોંધનીય છે કે આ ઉગ્રવાદીઓએ એવા સમયમાં આત્મસમર્પણ કર્યું છેજ્યારે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનારી છે. રાજ્ય લાંબા સમયથી ઉગ્રવાદની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.