હાલમાં દેશમાં રસોઈ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. લોકો મોંઘવારીને લઈને ત્રાહીમામ પોકારી ગયા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર એલપીજીને લઈને મોટી તૈયારી કરી રહી છે. ઉજ્જવલા યોજના દ્વારા દરેક ઘર સુધી એલપીજી પહોંચાડ્યા બાદ હવે કેન્દ્ર સરકારે દેશમાં ગેસ પાઈપલાઈનનો વ્યાપ વધારવાની શરૂઆત કરી છે. સોમવારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ અંગે વિગતવાર માહિતી આપી હતી.


પાઇપલાઇન દ્વારા દરેક ઘર સુધી પહોંચશે LPG 


તેમણે કહ્યું કે ગેસ પાઈપલાઈનના વિસ્તરણના કામ પછી ભારતના 82 ટકાથી વધુ જમીની વિસ્તાર અને 98 ટકા વસ્તીને પાઇપલાઇન દ્વારા એલપીજી સપ્લાય કરવામાં આવશે. ગેસ પાઈપલાઈન નાખવા અને તેના વિસ્તરણની કામગીરી માટે બિડિંગ પ્રક્રિયા આ વર્ષે 12 મેથી શરૂ કરવામાં આવશે.


દેશની 98 ટકા વસ્તી આ યોજના હેઠળ આવશે


હરદીપ સિંહ પુરીએ કહ્યું કે બિડિંગ પ્રક્રિયા બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. જો કે તેમા ચોક્કસ સમય લાગે છે. બિડિંગના 11મા રાઉન્ડ પછી, 82 ટકાથી વધુ જમીન વિસ્તાર અને 98 ટકા વસ્તીને ગેસ પાઇપલાઇન દ્વારા આપવામાં આવશે.


કેટલાક દુર્ગમ વિસ્તારોને નહીં મળે આ યોજનાનો લાભ


તો બીજી તરફ  કેટલાક પહાડી વિસ્તારોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે, પૂર્વોત્તર ક્ષેત્રના કેટલાક દુર્ગમ વિસ્તારો અને જમ્મુ-કાશ્મીરના દુર્ગમ વિસ્તારો આ ગેસ પાઇપલાઇનના દાયરામાં નહીં આવી. તેમણે કહ્યું કે LPG સિલિન્ડરની સરખામણીમાં પાઈપ દ્વારા મળતો રાંધણ ગેસ સસ્તો પડશે.


1,000 LNG સ્ટેશનો પ્રસ્તાવિત


તેમણે કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યા હતા. આજે ગેસ સિલિન્ડરની સંખ્યા 30 કરોડ થઈ ગઈ છે જે 2014માં 14 કરોડ હતી. તેમણે કહ્યું કે અમે સમગ્ર વસ્તીને આવરી લઈશું અને આ કામ ચાલુ છે. ગેસ પાઇપલાઇનના વિસ્તરણ અંગે તેમણે કહ્યું કે 1,000 LNG સ્ટેશન પ્રસ્તાવિત છે. તેમાંથી 50 એલએનજી સ્ટેશન આગામી થોડા વર્ષોમાં તૈયાર થઈ જશે.