નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ સરકારી બંગલો છોડવા તૈયાર નથી. મુલાયમે હવે રાજ્ય સંપત્તિ વિભાગને પત્ર લખીને બે વર્ષનો સમય માંગ્યો છે. રાજ્ય સંપત્તિ વિભાગે તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને બંગલો ખાલી કરવાની નોટિસ જાહેર કરી છે. નોંધનીય છે કે સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ મુલાયમના દીકરી અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ વિભાગને પત્ર લખ્યો છે. જ્યારે બસપાના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ  પણ પોતાના સરકારી બંગલા પર કાશીરામ યાદગાર વિશ્રામ સ્થળ લગાવી રાખ્યું છે. કોર્ટના આદેશ છતાં ત્રણેય મુખ્યમંત્રીઓ બંગલો છોડવા તૈયાર નથી.

મુલાયમને કોઇ ભાડાનું મકાન પસંદ આવી રહ્યું નથી. તેઓ કોઇ નવું ઘર ખરીદવાના મૂડમાં નથી. લખનઉમાં મુલાયમ સિંહનું પોતાનું કોઇ ઘર નથી. હવે તેમણે યોગી સરકારને બે વર્ષ સુધી બંગલામાં રહેવા દેવાની માંગ કરી છે. યુપી સરકારે નોટિસ મોકલીને તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને બે જૂન સુધી સરકારી બંગલો છોડવા કહ્યું છે.

અખિલેશ અને મુલાયમ સિંહ બજારના ભાવ પ્રમાણે સરકારી બંગલાનું ભાડુ આપવા પણ રાજી છે. બંન્નેએ સુરક્ષાના કારણોસર મકાન ખાલી ન કરાવવાની અપીલ કરી છે. મુલાયમના નાના દીકરા પ્રતીક યાદવનું ઘર પણ વિક્રમાદિત્ય માર્ગ પર બની રહ્યું છે.