તૌકતે વાવઝોડા (Cyclone Tauktae)એ ગુજરાત અને મુંબઈમાં અનેક વિસ્તારમાં તારાજી સર્જી છે. ત્યારે હવામાન વિભાગે (IMD)એ આવનારા દિવસોમાં વધુ એક ચક્રવાતી તોફાનની ચેતવણી આપી છે. IMDએ કહ્યું કે. ચક્રવાત તૌકતે બાદ 23 મેની આસપાસ બંગાળની ખાડીની ઉપર એક લો પ્રેશર ઉત્પન્ન થવાની સંભાવના જોવામાં આવી રહી છે, જેના કારણે વધુ એક વાવાઝોડું આવી શકે છે, જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. નિષ્ણાંતોનું માનીએ તો આ બધું જળવાયું પરિવર્તન અને સમુદ્રમાં વધતા તાપમાનને કારણે થઈ રહ્યું છે.


આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


IMD પ્રભારીત સુનીતા દેવીએ કહ્યું કે, ‘આગામી સપ્તાહની આસપાસ પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા બની શકે છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. જેવું જ અરું પૂર્વાનુમાન આવે છે અમે તેના વિશે વધારે જાણકારી ઉપલબ્ધ કરાવીશું.” નોંધનીય છે કે, અરબ સાગર અને બંગાળની ખાડી, બન્ને પર સમુદ્રની સપાટી પર તાપમાન સામાન્યથી 1-2 ડિગ્રી સેલ્સિયસ વધારે છે, જે ચક્રવાતને તૈયાર થવા માટે અનુકૂળ સ્થિતિ બનાવે છે. સુનીતાએ કહ્યું કે, “બંગાળની ખાડી ઉપર સમુદ્રની સપાટીનું તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ છે અને અન્ય તમામ હવામાન પરિસ્થિતિ પણ ચક્રવાત બનાવવા માટે અનુકૂળ છે.”


તૌકતે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તૌકતે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તૌકતે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તૌકતે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. 17-18 તારીખે દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.


નોંધનીય છે કે, તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.


69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 વીજ પુરવઠાની સપ્લાઈને ખાસ અસર થઈ છે. તો કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. જ્યાં હવે જનરેટરની જરૂર નથી. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.