નવી દિલ્હીઃ બુલંદશહર હિંસા દરમિયાન ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહને ગોળી મારીને હત્યા કરનારા સેનાના જવાન જિતેન્દ્ર ઉર્ફ જીતુની નોઇડા એસટીએફએ ધરપકડ કરી હતી. એસટીએફ તેને દિલ્હી લાવી પૂછપરછ કરી રહી છે. સંભાવના જોવામાં આવી રહી છે કે ઇન્સ્પેક્ટરની હત્યામાં વપરાયેલ હથિયાર જપ્ત કરવા માટે પોલીસની ટીમ જીતુને લઇને બુલંદશહર પહોંચી શકે છે. જીતુ ત્યાં કારગીલમાં તૈનાત હતો.


સૂત્રોના મતે આરોપી જીતુને એસટીએફની ટીમ ગુપ્ત સ્થળ પર લઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે જીતુએ જે હથિયારથી ઇન્સ્પેક્ટરને માર્યા હતા તેની શોધ ચાલી રહી છે અને આ માટે જીતુને બુલંદશહર લઇ જવામાં આવશે. આરોપ છે કે જીતુએ જ ઇન્સ્પેક્ટરની પિસ્તોલ ઉઠાવી હતી.  તેની પાસે ઇન્સ્પેક્ટરની પિસ્તોલ હોવા અને તેના દ્ધારા ઇન્સ્પેક્ટરની હત્યા કરવાની શંકા પોલીસને છે. રિપોર્ટ અનુસાર, જીતુ કારગીલમાં તૈનાત હતો અને હિંસા બાદ તે સાંજે નીકળી ગયો હતો અને આગામી દિવસે તેણે ડ્યુટી જોઇન કરી લીધી હતી. તે સિવાય ઉત્તરપ્રદેશના બુલંદશહરના સ્યાનામાં કથિત ગૌ માંસ મળ્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં એસટીએફ, ક્રાઇમ  બ્રાન્ચે વધુ પાંચ અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી. હિંસાની ઘટના બાદ સામે આવેલા વીડીયોના આધારે આ ધરપકડ કરાઇ હતી.