નવી દિલ્હીઃ ઇડીએ કોગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલા ત્રણ લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઇડીની આ કાર્યવાહી લગભગ 16 કલાક સુધી ચાલી હતી. એજન્સીએ સંરક્ષણ કરારમાં કેટલાક સંદિગ્ધો દ્ધારા કથિત રીતે કમીશન લેવા મામલે અને વિદેશોમાં ગેરકાયદેસર સંપત્તિ રાખવા માટે સંબંધિત કંપનીઓની તપાસ મુદ્દે આ દરોડા પાડ્યા હતા. ઇડીની તપાસમાં પ્રથમવાર વાડ્રાના સહયોગીઓનું નામ સંરક્ષણ સોદામાં કથિત રીતે કમીશન લેવા સાથે જોડવામાં આવ્યું છે.


સ્કાઇલાઇટ હોસ્પિટૈલિટી કંપનીના એડવોકેટ તબરેજે આરોપ લગાવ્યો હતો કે ઇડી દિલ્હીના સુખદેવ વિહાર સ્થિત વાડ્રાની ઓફિસમાં દરવાજા તોડીને અંદર ઘૂસી હતા અને કર્મચારીઓને 13થી 14 કલાક બંધ રાખ્યા હતા. તેમનું કહેવું છે કે ઇડીએ ગેટમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી દીધા હતા અને ઓફિસને પુરી રીતે નષ્ટ કરી દીધી હતી.

અધિકારીઓના કહેવા પ્રમાણે, દિલ્હી એનસીઆર અને બેંગલુરુમાં વિવિધ સ્થળો પર બપોરે 12 વાગ્યાથી તપાસ ચાલી રહી હતી. ઇડીના સૂત્રોના મતે વાડ્રાની કંપનીઓના બે કર્મચારીઓ અને એક અન્ય વ્યક્તિના સ્થળો પર તપાસ કરાઇ હતી. આ લોકો પર સંદિગ્ધ રીતે સંરક્ષણ કરારમાં કમીશન પ્રાપ્ત કરવા અને તે રકમનો ઉપયોગ વિદેશમાં ગેરકાયદેસર સંપત્તિઓ ખરીદવામાં કર્યો છે. તેણે દાવો કર્યો હતો કે એજન્સીને નવા પુરાવા મળ્યા છે જેના આધાર પર કાર્યવાહી કરવામાં આવી હતી.

વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને આ દરોડા પર નારાજગી વ્યક્ત કરી હતી. આરોપ લગાવ્યો હતો કે, ઇડીની ટીમ વોરંટ બતાવ્યા વિના વાડ્રાના સહયોગીઓના પરિસરમાં ઘૂસ્યા હતા. તેમણે સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા.