નવી દિલ્હી: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે ચૂકાદો સંભળાવશે. ચૂકાદા પહેલા ઘણા રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં આજે સ્કૂલનો બંધ રાખવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. ઉત્તરપ્રદેશમાં સોમવાર સુધી તમામ સ્કૂલ બંધ રહેશે.


રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર 40 દિવસ સુધી ચાલેલી સુનાવણી 16 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી અને આજે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો ફેંસલો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ આજે દસ સાડા દસ વાગ્યાની આસપાસ આ મામલે પોતાનો ફેંસલો આપશે. ચુકાદાની પૂર્વતૈયારીના ભાગરૂપે કેટલાંક શહેરોમાં સ્થાનિક તંત્ર દ્વારા કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિનું સંતુલન જાળવી રાખવા માટે કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

નોંધનીય છે કે અયોધ્યા મામલાના ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારને રાજ્યમાં સ્કૂલ, કોલેજો, એજ્યુકેશન સેન્ટરો અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર, રાજ્યમાં 9થી11 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે.