કોલકત્તાઃ કોરોના વાયરસ વિરુદ્ધ હાલમાં આખી દુનિયા લડી રહી છે. આવી મુશ્કેલી સ્થિતિમાં દુનિયાભરના ખેલાડીઓ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ મહામારી વિરુદ્ધ લડાઇમાં 50 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે.

સૌરવ ગાંગુલીએ 50 લાખ રૂપિયાની મદદથી એ લોકો માટે જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે જેમને સુરક્ષા માટે સરકારી સ્કૂલમાં રાખવામાં આવ્યા છે. સૌરવે કોલકત્તાના  પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું કે, આ લોકોની મદદ કરવામાં આવે.

આ અગાઉ ગાંગુલી સતત સોશિયલ મીડિયા મારફતે લોકોને કોરોના વાયરસથી સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ગાંગુલીએ એક દિવસ અગાઉ કોલકત્તાના ખાલી રસ્તાઓની તસવીર ટ્વિટ કરી લખ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, આવો દિવસ જોવો પડશે.