West Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવવાના છે, અને આખો દેશ એ જાણવા આતુર છે કે બંગાળની ગાદી પર કોણ બેસશે. મોટાભાગના એક્ઝિટ પોલ બંગાળમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે એક મોટો દાવો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. અખિલેશે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે મમતા બેનર્જી (દીદી) ઐતિહાસિક બહુમતી સાથે ફરીથી સત્તામાં આવશે. આ ઉપરાંત, તેમણે મોંઘવારી, મહિલા અનામત અને ચૂંટણી પંચની કામગીરીને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Continues below advertisement

જ્યારે અખિલેશ યાદવને બંગાળ ચૂંટણીના પરિણામો અને એક્ઝિટ પોલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "દીદી બંગાળમાં ઐતિહાસિક બહુમતી સાથે જીતવા જઈ રહ્યા છે." નોંધનીય છે કે અખિલેશ યાદવ પહેલેથી જ મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC ને સતત પોતાનું સમર્થન આપતા આવ્યા છે. એક્ઝિટ પોલના આંકડાઓ ભાજપ તરફ ઈશારો કરી રહ્યા હોવા છતાં, અખિલેશના આ દાવાથી ભાજપની છાવણીમાં ચોક્કસથી થોડું ટેન્શન વધી શકે છે.

Continues below advertisement

સ્ટ્રોંગ રૂમ અને ચૂંટણી પંચની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

મમતા બેનર્જીએ EVM ના સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે રાતોરાત 4 કલાક ત્યાં કેમ વિતાવવા પડ્યા? આ સવાલના જવાબમાં અખિલેશે ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, "આ જ તો સૌથી મોટી સમસ્યા છે કે આપણે કોના પર વિશ્વાસ કરીએ? તમને યાદ હશે કે અગાઉ કેવી રીતે રિવોલ્વરના જોરે લોકોને વોટ આપતા રોકવામાં આવ્યા હતા. મારું સ્પષ્ટ માનવું છે કે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે યુપીમાં જે મોડલનું ટેસ્ટિંગ કર્યું હતું, તે જ આખી સિસ્ટમ તેમણે પશ્ચિમ બંગાળમાં ઉતારી દીધી છે. તેમણે કેન્દ્રીય સુરક્ષા દળોનો ઉપયોગ કરીને એક સમાંતર વ્યવસ્થા ઊભી કરી દીધી છે. જોકે, આટલા ધમપછાડા કરવા છતાં બંગાળમાં તો દીદી જ જીતશે."

કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?

મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી

આ સિવાય અખિલેશ યાદવે વધતી જતી મોંઘવારી અંગે પણ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. ગેસ સિલિન્ડરના વધતા ભાવ અંગે તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, માત્ર સિલિન્ડર જ નહીં, પણ અનાજ અને વેપાર સહિત બધું જ હવે મોંઘુ થઈ ગયું છે.

વધુમાં, તેમણે ભાજપને 'કાચિંડા' સાથે સરખાવતા કહ્યું કે આ પાર્ટી ખરેખર મહિલાઓને અનામત આપવા જ નથી માંગતી. તેમણે આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોના ખિસ્સા ખાલી કરીને માત્ર અમીરોના ખિસ્સા ભરવાનું જ કામ કરી રહી છે. હવે 4 મેના રોજ જ ખબર પડશે કે અખિલેશ યાદવનો દાવો કેટલો સાચો પડે છે અને બંગાળની જનતા કોને પોતાનો તાજ પહેરાવે છે.

એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો