બેંગલુરૂ: કર્ણાટક સરકારે કહ્યું કે બેંગલુરૂ હિંસામાં સામેલ દોષીતોની સંપત્તી જપ્ત કરી નુકશાનની ભરપાઈ કરવામાં આવશે. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ટ્વીટ કરી કહ્યું, અમારી સરકારે કેજી હલ્લી અને ડીજી હલ્લીમાં થયેલી હિંસક ઘટનાઓમાં સાર્વજનિક અને પ્રાઈવેટ સંપત્તિના નુકશાનના આંકલન કરવાનું અને દોષીતો પાસેથી ભરપાઈ વસુલવાનો નિર્ણય કર્યો છે.


મુખ્યમંત્રીએ કહ્યું કે આ મામલાની વિસ્તૃત તપાસ માટે એક ખાસ દળનું ગઠન પહેલા જ કરી દેવામાં આવ્યું છે અને આ કેસમાં ઝડપી સુનાવણી માટે ત્રણ વિશેષ અભિયોજકોની એક ટીમ નિયુક્ત કરવામાં આવશે. વોરન્ટ મળવા પર એસઆઈટી ગુંડા એક્ટ લાગૂ કરવા પર વિચાર કરશે.



ઉલ્લેખનીય છે કે બેંગલુરૂમાં થોડા દિવસો પહેલા થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 350 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં 18 ઓગષ્ટ સુધી કલમ 144 લાગૂ છે.

કૉંગ્રેસ ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના સંબંધીઓ દ્વારા 'સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ' મુદ્દા પર સોશિયલ મીડિયા પર કથિત રીતે પોસ્ટ કર્યા બાદ ગત મંગળવારે પુલકેશનીગરના ડી જે હલ્લી વિસ્તારમાં હિંસા ફેલાઈ હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

ભીડે ઘણા વાહનોમાં આગ લગાવી હતી. ધારાસભ્ય એ શ્રીનિવાસ મૂર્તિની ફરિયાદ પર ડીજે હોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ અનુસાર, 11 ઓગષ્ટના 2000-3000 લોકોએ તેમના ઘર, વાહનો સહિત અન્ય સંપત્તિમાં આગ લગાવી દીધી હતી. સોના-ચાંદીનો સામાન, વાહન અને 3 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓ લૂંટી લીધી હતી.