પટનાઃ બિહારની રાજધાની પટનાથી કોરોના વાયરસ સંક્રમણના એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંયા લગ્ન સમારોહમાં સામેલ થયેલા 95 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને લગ્નના બે દિવસ બાદ દૂલ્હાનું મોત થયું હતું. મૃતક સોફ્ટવેર એન્જિનિયર હતો અને ગુરુગ્રામમાં નોકરી કરતો હતો. દૂલ્હામાં પહેલાથી જ કોવિડ-19ના લક્ષણ હોવા છતાં અંતિમ સંસ્કાર કોરોના ટેસ્ટ વગર જ કરી દેવામાં આવ્યા હતા.


ઘટના પટના જિલ્લાના પાલીગંજ ગામની છે. દૂલ્હાના મોતના સમાચાર સામે આવ્યા બાદ જ્યારે તંત્રએ સમારોહમાં સામેલ થયેલા લોકોનો ટેસ્ટ કર્યો તો 95 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. મામલો સામે આવ્યા બાદ તંત્રમાં હાહાકાર મચી ગયો હતો.

બિહારમાં કોરોના વાયરસના એક સાથે આટલા મામલા જોવા મળ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. પરિવારજનોએ તંત્રને સૂચના આપ્યા વગર જ દૂલ્હાના અંતિમ સંસ્કાર કરી દીધા હોવાથી તેનો કોરોના ટેસ્ટ ન થયો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

આ લગ્ન સમારોહ 15 જૂને સંપન્ન થયો હતો. દૂલ્હામાં પહેલાથી જ કોરોનાના લક્ષણ હતા. વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર મૃતક ગુડગાંવથી 12 જૂને જ ગામ પહોંચ્યો હતો. જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે તેનામાં કોરોનાના લક્ષણ હતા પરંતુ પરિવારજનોએ લગ્ન ન ટાળવાનો ફેંસલો લીધો. લગ્નના બે દિવસ બાદ અચાનક તેની તબિયત ખરાબ થઈ અને પટના એઇમ્સમાં લઈ જવા દરમિયાન તેનું મોત થયું હતું. તંત્ર દ્વારા લગ્નમાં સામેલ થયેલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમાંથી 95 લોકો પોઝિટિવ આવ્યા હતા. તંત્રના કહેવા મુજબ, કોરોના લક્ષણ હોવા છતાં લગ્ન કરી પરિવારજનોએ દિશા નિર્દેશોનું મોટા પાયે ઉલ્લંઘન કર્યુ છે.

બિહારમાં અત્યાર સુધીમાં કોરોનાના 9640 મામલા સામે આવી ચુક્યા છે. 62 લોકોના મોત થઈ ચુક્યા છે. 7390 લોકો ઠીક થઈ ગયા છે અને 2188 એક્ટિવ કેસ છે.