નવી દિલ્હીઃ મોદી સરકારે દેશના અનેક ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના(PMFBY)માં મહત્વનો ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે PMFBYને હવે સ્વૈચ્છિક બનાવવાનો ફેંસલો લીધો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેવો કે નહીં તે હવે ખેડૂત પર નિર્ભર રહેશે.


ક્યારથી લાગુ થશે

કેબિનેટનો આ ફેંસલો ચાલુ વર્ષે એપ્રિલ-મેથી શરૂ થતી ખરીફ સીઝનથી જ લાગુ થઈ જશે. અત્યાર સુધી નિયમ અંતર્ગત જો કોઈ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પાક માટે લોન લેતા હતા તો તેની સાથે વીમો લેવો ફરજિયાત હતો. આ નિયમને લઈ ખેડૂતોની પહેલાથી જ ફરિયાદ હતી કે બેંક અને વીમા કંપનીઓ તેમની ઈચ્છા ન હોવા છતાં વીમાની રકમ લોનમાંથી કાપી લેતી હતી. જેમાં ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોના ખેડૂતો સૌથી વધુ સામેલ છે.

58 ટકા ખેડૂતો લોન લઈ કરે છે ખેતી

દેશભરમાં કુલ 58 ટકા ખેડૂતો લોન લઈને ખેતી કરે છે, જ્યારે 42 ટકા લોન લેતા નથી. મોદી સરકારે ખેડૂતોને લોન લઈને પડતી મુશ્કેલી દૂર કરવાની પહેલા કરી છે.   પ્રેસ કોન્ફરન્સમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવેલી પાક વીમા યોજનાનો લાભ 5.5 કરોડ ખેડૂતોએ ઉઠાવ્યો છે.


3 વર્ષ માટે વીમા કંપનીની નિમણૂક કરવી પડશે

કેબિનેટે આ યોજના અંતર્ગત અનેક બદલાવને પણ મંજૂરી આપી છે. જે મુજબ કોઈપણ રાજ્ય સરકાર વીમા કંપની સાથે ત્રણ વર્ષથી ઓછા વર્ષ માટે કરાર નહીં કરી શકે. આ સિવાય નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું 90 ટકા પ્રીમિયમ સરકાર આપશે. કેબિનેટે વ્યાજ સહાયતા યોજનામાં લાભને 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.

ખેડૂતોની ફરિયાદ બાદ ખુદ મોદીએ લીધો રસ

સૂત્રોના જણાવ્યા મુજબ, દેશભરના ખેડૂતો તરફથી મળી રહેલી ફરિયાદ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ખુદ રસ લઇ તેને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક મંત્રીસમૂહનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ઉપરાંત અન્ય મંત્રી પણ સામેલ કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા પ્રમાણે ફસલ વીમા યોજના અંતર્ગત રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ખેડૂતો સૌથી વધારે વીમો કરાવે છે. જેનુ મુખ્ય કારણ ખરાબ હવામાનના કારણે આ રાજ્યોમાં પાક બરબાદ થવાની ઘટના વધારે બને છે. સરકાર અત્યાર સુધીમાં ખેડૂતોને ફસલ વીમા યોજના હેઠળ 6000 કરોડ રૂપિયાનું વળતર આપી ચુકી છે, જ્યારે ખેડૂતોએ અત્યાર સુધીમાં 13,000 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ આપ્યા છે.

1 એપ્રિલથી ભારતમાં વેચાશે પ્યોર પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે તેની ખાસિયત

INDvNZ:  ચેતેશ્વર પુજારાને ટેસ્ટ સીરિઝ પહેલા મળી મોટી ભેટ, જાણો વિગતે

 પાકિસ્તાનના આ ખેલાડીએ લખવામાં માર્યો મોટો લોચો, લખ્યું Mother from another brother ને થઈ ગયો ટ્રોલ