નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં આજે મોટો ફેંસલો લેવામાં આવ્યો છે. કેબિનેટે ગ્રુપ બી અને ગ્રુપ સી સ્તરના પદમાટે રેલવે ભરતી બોર્ડ, કર્મચારી પસંદગી આયોગ અને આઈબીપીએસ તરફથી આયોજિત ભરતી પરીક્ષાના પ્રારંભિક તબક્કા માટે એક જ Common Eligibility Test (CET) આયોજિત કરવાનો ફેંસલો લીધો છે. આ પદોને સામાન્ય ભાષામાં Non Gazetted પદ કહેવામાં આવે છે.


CET આયોજિત કરવા માટે નવી સંસ્થા રાષ્ટ્રીય ભરતી એજન્સી (National Recruitment Agency )નું ગઠન કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, NRAની સ્થાપના પછી કેન્દ્ર સરકારની નોકરીઓ માટે અલગ-અલગ પરીક્ષાઓમાં બેસવાવાળા યુવાઓને ફક્ત એક જ ટેસ્ટ આપવી પડશે. જાવડેકરે કહ્યું કે નોકરી માટે યુવાઓએ ઘણી પરીક્ષા આપવી પડે છે. હાલના સમયે 20 ભરતી એજન્સીઓ છે. આવામાં યુવાઓને દરેક એજન્સી માટે પરીક્ષા આપવા માટે ઘણા સ્થાનોએ જવું પડે છે. હવે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. આ અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ અપાવશે.



તેમણે કહ્યું કે એનઆરએથી કરોડો યુવાઓને સીધો ફાયદો મળશે. યુવાઓ તરફથી આ માંગણી છેલ્લા ઘણા વર્ષોથી ઉઠાવવામાં આવી રહી હતી. હવે એનઆરએની સ્થાપનાથી તેમના પૈસા પણ બચશે અને માનસિક પરેશાની પણ દૂર રહેશે. તેમને એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે.

કેન્દ્ર સરકારના સચિવ સી. ચંદ્રમોલીએ કહ્યું કે હાલ ત્રણ એજન્સીઓની પરીક્ષાઓને કોમન કરી રહ્યા છીએ. જેમાં બેંકની ભરતી માટે આઈબીપીએસ, રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ અને સ્ટાફ સિલેક્શન કમિશન સામેલ છે. સમય સાથે બધી ભરતી એજન્સીઓ માટે કોમન એલિજિબિલિટી ટેસ્ટ કરાવવામાં આવશે. ત્રણ એજન્સીએ દર વર્ષે સરેરાશ 1.25 લાખ પદો પર નિમણૂક માટે પરીક્ષાનું આયોજન કરે છે. જે માટે સરેરાશ 2.5 કરોડ પરીક્ષાર્થી અરજી કરે છે.