નવી દિલ્હી:  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સોનિયા ગાંધીને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી શનિવારે બજેટ સત્રમાં પણ જોવા નહોતા મળ્યા. છેલ્લા ઘણા વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધી બિમારીને લઈને પરેશાન છે.


સોનિયા ગાંધી હાલમાં જ દિલ્હીના રાજઘાટ પર નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી પાર્ટી અભિયાનના સક્રિય હિસ્સો નથી રહ્યા. સોનિયા ગાંધી ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી સાંસદ છે. રાયબરેલી એકમાત્ર બેઠક છે જે કૉંગ્રેસે 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં જીત મેળવી છે.

તબિયત ઠીક ન હોવાના કારણે તેઓ રાજકારણમાં ઓછા સક્રિય રહે છે. હાલ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી છે, પરંતુ સોનિયા ગાંધી ચૂંટણીની રેલીઓમાં જોવા નથી મળ્યા. સોનિયા ગાંધી રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા છે.


લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલી હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં સોનિયા ગાંધીને ફરી એક વખત કમાન સંભાળવી પડી હતી. સોનિયા ગાંધી વિદેશમાં પણ સારવાર કરાવી ચૂક્યા છે.