નવી દિલ્હી: કૉંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ કોણ બનશે તેને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી થયું. હાલમાં જ ઘણા સીનિયર નેતાઓએ માંગ કરી કે પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસની કમાન સોંપી દેવામાં આવે. હવે કૉંગ્રેસના દિગ્ગજ નેતા શત્રુદ્ધન સિન્હાએ અપીલ કરી છે કે પ્રિયંકા ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવે. શત્રુઘ્ન સિન્હાએ સોનભદ્ર મામલે પ્રિયંકાની સક્રિયતાના વખાણ કર્યા અને તેમની તુલના ઈન્દિરા ગાંધી સાથે કરી હતી. તેમણે પ્રિયંકાને ઓજસ્વી નેતા ગણાવતા કહ્યું જો પાર્ટીની કમાન તેમના હાથમાં જશે તો કૉંગ્રેસ માટે બૂસ્ટર જેવું હશે.


ઉલ્લેખનીય છે કે સોનભદ્ર હત્યાકાંડમાં પીડિતોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને રસ્તામાં રોકવામાં આવ્યા હતા. બાદમાં તેઓ ધરણાં પર બેઠા હતા અને પીડિતોને મળ્યા બાદ જ તેમણે ધરણા ખત્મ કર્યા હતા. શત્રુઘ્ન સિન્હાએ તેનો ઉલ્લેખ કરતા ટ્વિટ કર્યું, સોનભદ્ર હત્યાકાંડની ઘટના પર કૉંગ્રેસની સૌથી લોકપ્રિય, મુખર અને ઓજશ્વી નેતા પ્રિયંકા ગાંધીની સક્રિયતાએ મેડમ ગાંધીની યાદ તાજી કરી. બેલચી ઘટના બાદ તેઓ હાથી પર ત્યાં ગયા હતા. પ્રિયંકાએ દ્રઢસંક્લ્પ અને પ્રતિબદ્ધતા સાથે બધાનો સામનો કર્યો અને ધરપકડ વ્હોરી હતી.

શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું કે પ્રિયંકા ગાંધીએ એ પરિસ્થિતિમાં શાનદાર માનસિક સંતુલન બતાવ્યું. મારૂ નમ્ર નિવેદન છે કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે યોગ્ય રહેશે. આ કૉંગ્રેસ પાર્ટી માટે બૂસ્ટર જેમ રહેશે. તેઓ એક સમર્પિત નેતા છે. બીજી રાજકીય પાર્ટીએ પણ તેમની પાસેથી શીખવું જોઈએ.