નવી દિલ્હી: કૉંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી સીતારમણ પર રાફેલ વિમાન ડીલને લઈને સદનમાં ગેરમાર્ગે દરવાનો આરોપ લાવ્યો છે. અને તેઓના વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને વિશેષાધિકાર હનન કરવાની નોટિસ આપી છે. સદનમાં કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુલ ખડગે દ્વારા આપવામાં આવેલી નોટિસમાં આરોપ લગાવાયો છે કે વડાપ્રાધન મોદીએ 20 જુલાઈના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા સદનને ગેરમાર્ગે દોરનારું નિવેદન આપ્યું હતું.


ખડગેએ કહ્યું કે, લોકસભામાં કાર્યવાહી તથા પ્રક્રિયાના નિયમ 222 હેઠળ હું સદનને ગેરમાર્ગે દોરવા માટે વડાપ્રધાન મોદી વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ આપું છું. રક્ષા મંત્રી વિરુદ્ધ પણ એવી જ અન્ય એક નોટિસમાં પાર્ટીએ કહ્યું કે 20 જુલાઈએ ચર્ચામાં હસ્તક્ષેપ કરતા નિર્મળા સિતારમણે સદનને ગેરમાર્ગે દોરનારું નિવેદન આપ્યું હતું તેમના વિરુદ્ધ પણ વિશેષાધિકારની નોટિસ આપવામાં આવે છે.

જણાવી દઈએ કે લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. કૉંગ્રેસની માંગ છે કે મોદી સરકાર રાફેલ ડીલમાં ખરીદવામાં આવનાર એરક્રાફ્ટની કીંમત જણાવે. જ્યારે સરકારનું કહેવું છે કે ફ્રાન્સ સાથે થયેલા ગુપ્ત કરાર મુજબ કીંમત સાર્વજનિક કરી શકાય નહીં. પરંતુ કૉંગ્રેસનું કહેવું છે કે, ફાન્સના રાષ્ટ્રપતિએ રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં કહ્યું હતું એરક્રાફ્ટની કીંમત જાહેર કરવા અમને કોઈ વાંધો નથી.