નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગપેસારો કરી દીધો છે, કોરોનાથી સંક્રમિત લોકોના ત્રણ કેસો કેરાલામાં, એક નોઇડામાં, એક તેલંગાણામાં અને એક આગારમાં મળ્યા છે. કોરોનાની અસરથી હવે સરકારે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી અને તાત્કાલિક પગલા ભરવા આદેશ કર્યો છે.


યુપીના નોઇડામાં સ્કૂલમાં ભણમારા એક વિદ્યાર્થીના પિતા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે. ત્યારબાદ નોઇડાની બે સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગારામાં પણ 13 લોકો સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 6 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઇ છે.

કોરોના વાયરસે ભારતમાં પગપેસારો કરી દીધો છે, આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પુરીપુરી એક્ટિવ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આને લઇને સમીક્ષા બેઠક કરી હતી. આજે પણ આને લઇને સ્વાસ્થ્ય મંત્રાલય રિવ્યૂ મીટિંગ કરશે. આ બેઠક સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયની આ બેઠકમાં એમઆરએમએલ હૉસ્પીટલ, લેડી હાર્ડિંગ હૉસ્પીટલ, સરદરગંજ હૉસ્પીટલ સહિત દિલ્હી નગર નિગમની હૉસ્પીટલના અધિક્ષક, રેલવેની હૉસ્પીટલના અધિક્ષક અને બધા સ્વાસ્થ્ય સેવાઓના ડીજી હાજર રહેશે. દિલ્હી એનસીઆરમાં કોરોના વાયરસના દર્દીઓ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય સેવાનો એલર્ટ પર રાખી દેવામાં આવી છે.

હાલ દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.


શું છે કોરોના વાયરસ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.



કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં

1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું.

2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ.

3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.

4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો.

5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.

6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો.

7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.