નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધી કોવિડ-19થી સંક્રમિત 167 કેસ સામે આવી ચૂક્યા છે. તેની વચ્ચે ભારતમાં કોરોના વાયરસથી વધુ એક દર્દીનું મોત થયું છે. પંજાબમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયુ છે આ સાથે ભારતમાં આ વાયરસને કારણે 4 લોકોના મોત થઈ ચુક્યા છે. આ પહેલા દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્રમાં એક-એક દર્દીનું મોત થયું હતું.



દેશમાં 167 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. 14 લોકોને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે અને હાલ કુલ 148 એક્ટિવ દર્દીઓ છે. જેની સારવાર ચાલી રહી છે.

સૌથી વધુ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 42 કેસ પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે કેરળમાં 25, કર્ણાટકમાં 14, દિલ્હીમાં સંક્રમિત 11 કેસ સામે આવ્યા છે, જેમાં એક વિદેશી સામેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં એક વિદેશી સહિત 16 કેસ સામે આવ્યા છે.

કોરોનાની મહામારીથી વિશ્વની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી છે, અનેક દેશેમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ભારતમાં કેટલાક રાજ્યોમાં સ્કૂલ, કૉલેજ, જિમ, પર્યટક સ્થળો અને મોટા મોટા મંદિર બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. અનેક શહેરોમાં માસ્ક અને સેનિટાઈઝરની અછત વર્તાઈ રહી છે.