નવી દિલ્હી: સમગ્ર દેશમાં વધી રહેલા કોરોના વાયરસના વ્યાપ વચ્ચે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશન નથી થયું. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશના જિલ્લાઓને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. જેમાં  કોરોના હૉટસ્પોટ, નૉન હૉટસ્પોટ અને ગ્રીન ઝોન જિલ્લા તરીકે ડિવાઈડ કરવામાં આવ્યા છે. દેશમાં 170 હોટસ્પોટ જિલ્લા છે.
હૉટસ્પોટ અને ગ્રીન ઝોનની ઓળખ કરવામાં આવી છે. હૉટસ્પોટવાળા વિસ્તારમાં ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના હૉટસ્પોટ સામે લડવા માટે રાજ્યોને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.


હૉટસ્પોટ જિલ્લા એટલે જ્યાં કોરોના વાયરસના કેસ વધુ છે અથવા ઝડપથી વધી રહ્યાં છે. નોન હૉસ્પોટ જિલ્લા એટલે જ્યાંથી કોરોના કેસ સામે આવી રહ્યાં છે. જ્યારે ગ્રીન ઝોન જિલ્લા એટલે જ્યાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં મંગળવાર સુધીના આંકડા અનુસાર 170 હોટસ્પોટ જિલ્લા છે. દર્દીઓની સંભવિત સંખ્યા પ્રમાણે હૉટપૉસ્ટ જિલ્લા 207 છે. રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારને લાગે તો પોતાના અનુસાર હૉસ્પોટ જાહેર કરી શકે છે અથવા કોરોના સામે લડવાની પોતાની રણનીતિ અપનાવી શકે છે.


તેમણે કહ્યું કે, અત્યાર સુધી દેશમાં કોઈ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી. જે પણ મામલા સામે આવ્યા છે તેની હિસ્ટ્રી કોન્ટેક્ટ અથવા તો લોકલ આઉટબ્રેકના છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 11439 પર પહોંચી ગઈ છે અને કુલ 377 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 1306 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.