નવી દિલ્હીઃ મોદી સરકારના મંત્રીનું કોરોનાથી મોત થયું છે.  રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાથી મોત થતાં ભાજપ સહિત દેશમાં શોક છવાઈ ગયો છે. 65 વર્ષીય અંગડીનો 11 સપ્ટેમ્બરે  કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારથી તેમની એઇમ્સમાં સારવાર ચાલતી હતી. રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


લોકસભા સાંસદ સુરેશ અંગડી કોરોનાથી મોતને ભેટનારા કર્ણાટકના બીજા સાંસદ છે. આ પહેલા અશોક ગસ્ટીનું થોડા દિવસ પહેલા કોરોનાથી મોત થયું હતું, તેઓ રાજ્યસભાના સાંસદ હતા.

અંગડીના નિધન પર મોદીએ શું કહ્યું

મોદીએ ટ્વિટ કરીને લખ્યું, સુરેશ અંગડી એક અસાધારણ કાર્યકર્તા હતા. તેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરવા ખૂબ મહેનત કરી હતી. તે એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતા. તેમનું નિધન દુખદાયી છે. દુખની આ ઘડીમાં તેમના પરિવાર અને મિત્રોને મારી સાંત્વના. શાંતિ



બેલગામના લોકસભા સાંસદ

રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડી કર્ણાટકના બેલગામથી લોકસભા સાંસદ હતા. તેઓ બેલગામથી 4 વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019ની ચૂંટણીમાં પણ તેમની ભવ્ય જીત થઈ હતી. તેઓ 2004, 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણી જીત્યા હતા.

કોણ કોણ છે પરિવારમાં

1995માં જન્મેલા સુરેશ અંગડી કર્ણાટકના બેલગામ જિલ્લાથી ભાજપના નેતા હતા. અઢી દાયકાની રાજકિય કરિયર દરમિયાન પાર્ટીમાં અનેક પદો પર રહ્યા હતા.  તેઓ 1996માં બેલગામના ભાજપ ઉપાધ્યક્ષ બન્યા હતા. જે બાદ તેમમની રાજકિય સફર સતત આગળ વધતી ગઈ હતી. સુરેશ અંગડી લો ગ્રેજ્યુએટ હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે.

સુરેશ અંગડીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રેલ મંત્રી પીયૂષ ગોયલ, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા સહિત અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો છે.