કોરોના વાયરસને વધતો અટકાવતી 21 દવાની થઈ ઓળખ, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jul 2020 12:17 PM (IST)
આ શોધની કોરોના વાયરસની સારવારમાં મદદ મળી શકે છે. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની કોપી બનતી રોકવા માટે દવાઓનું વિશ્લેષણ કર્યું હતું.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. અનેક દેશો રસી બનાવવામાં લાગ્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની કોપી બનાવતાં રોકે તેવી 21 દવા શોધી છે. આ શોધ અમેરિકાના સેનફોર્ડ બર્નહમ પ્રીબાઈસ મેડિકલ ડિસ્કવરી ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ કરી છે. આ શોધની કોરોના વાયરસની સારવારમાં મદદ મળી શકે છે. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની કોપી બનતી રોકવા માટે દવાઓનું વિશ્લેષણ કર્યું હતું. લેબ ટેસ્ટમાં એન્ટીવાયરલ એક્ટિવિટીવાળા 100 મોલેકયૂસ મળી આવ્યા હતા. આ સ્ટડી જર્નલ નેચરમાં પ્રકાશિત થયો છે. જે મુજબ તેમાંથી 21 દવાઓ વાયરસને ફરીથી બનતા રોકે છે અને આ દવાઓ દર્દી માટે સુરક્ષિત છે. તેમાંથી ચાર કંપનાઉન્ડને રેમડેસિવીર સાથે મળીને કોવિડ-19ની સારવાર કરી શકાય છે. સેનફોર્ડ બર્નહમ પ્રીબાઈસમાં ઈમ્યૂનિટી પ્રોગ્રામના ડાયરેક્ટર અને આ અભ્યાસ સાથે સંકળાયેલા સુમિત ચંદાએ કહ્યું, રેમડેસિવીર હોસ્પિટલમાં દર્દીના રિકવરી ટાઇમને ઘટાડવામાં સફળ થઈ છે. પરંતુ આ દવા તમામ લોકો પર કામ નથી કરતી. હાલ સસ્તી, અસરકારક અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી રેમડેસિવીરની પૂરક બની શકે અને કોરોના સંક્રમણનું પ્રથમ લક્ષણ દેખાય ત્યારે આપી શકાય તેવી દવા શોધવામાં આવી રહી છે. આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ વાયરસથી સંક્રમિત થનારા વ્યક્તિના ફેફસાની બાયોપ્સિ પર દવાની અસર તપાસી હતી. જેમાં વાયરસની કોપી બનવાથી રોકતી 21માંથી 13 દવાઓ પહેલાથી જ ક્લિનિક્લ ટ્રાયલમાં હોવાનું જાણવા મળ્યું હતું. સુમિત ચંદાએ કહ્યું, આ સ્ટડી કોરોના વાયરસના દર્દી માટે સંભવિત સારવારના વિકલ્પો અંગે જણાવે છે. આ રિપોર્ટ વૈશ્વિક મહામારી સામે લડવા વૈજ્ઞાનિકો માટે મોટું હથિયાર સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ,આ દવાઓને પહેલાથી જ યુએસ એફડીએ દ્વારા મંજૂરી મળેલી છે.