નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે.


કેજરીવાલે કહ્યું, જો તમારા મનમાં કોઈ બીજા ધર્મ પ્રત્યે કોઈ દુર્ભાવના હોય તો યાદ રાખો કે કોઈ દિવસ તેનો પ્લાઝમા તમારો જીવ બચાવી શકે છે. મુસલમાનનો પ્લાઝમા હિન્દુનો જીવ બચાવશે અને હિન્દુનો પ્લાઝમા મુસલમાનનો જીવ બચાવશે. આપણા બધાના લોહીનો રંગ લાલ છે.



કેજરીવાલે કહ્યું, એલએનજેપી હોસ્પિટલમાં ગઈકાલે એક નાજુક દર્દીને પ્લાઝમા આપવામાં આવ્યો. આજે સવારે તેની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. જે દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થઈ રહ્યા છે તેમને અમે પ્લાઝમા આપવાનું કહી રહ્યા છીએ. મને ખુશી છે કે બધા ધર્મોના લોકો આગળ આવીને લોકોનો જીવ બચાવવા માંગે છે. જે લોકોનો જીવ બચી ગયો છે તે લોકો હવે બીજાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા છે.



દિલ્હીના સીએમ કેજરીવાલે જણાવ્યું, જ્યારે કોઈ બીજા ધર્મ પ્રત્યે તમારા મનમાં દુર્ભાવના આવે તો વિચારજો કે એક દિવસ તેનો પ્લાઝમા તમારા કામમાં આવે અને તમારો જીવ બચી જાય. કેજરીવાલે કહ્યું, 3 મે બાદ કેન્દ્ર સરકાર લોકડાઉનને લઈ શું ફેંસલો કરે છે તેના પર દિલ્હીમાં શું ફેંસલો લેવો તે નિર્ભર છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ અમે આગળની દિશા નક્કી કરીશું.

કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિલ્હી હાલ દેશમાં ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2625 છે. જ્યારે 54 લોકોના મોત થયા છે અને 869 લોકો સ્વસ્થ થઈ ગયા છે.