નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ દરમિયાન પંજાબ સરકારે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવનારા લોકોના પાસપોર્ટ સીઝ કરવાનો નિર્ણય લીધો છે.


પંજાબમાં સતત કોરોના વાયરસના નવા મામલા સામે આવી રહ્યા છે. પંજાબમાં અત્યાર સુધી કોરોનાના 60થી વધારે મામલા સામે આવ્યા છે, જે બાદ પંજાબ સરકારે વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવનારા લોકોનો પાસપોર્ટ સીઝ કરવાનો ફેંસલો લીધો છે.

કોરોના વાયરસને લઈ પંજાબ સરકારે શનિવારે રિવ્યૂ મીટિંગ બોલાવી હતી. જેમાં સીએમ અમરિંદર સિંહે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. સીએમ અમરિંદરે કહ્યું કે, હાલ કોઇ સમજૂતી કરી શકાય નહીં. જો કોઈ વ્યક્તિ પોલીસ કે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સામે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવશે તો કડક કાર્યવાહી કરાશે અને પાસપોર્ટ જપ્ત થઈ શકે છે.

પંજાબમાં કોરોના વાયરસથી વધુ નવ લોકો સંક્રમિત થયા છે. જેમાં અમૃતસર-મોહાલીમાં 3-3, જાલંધર, ફરીદકોટ અને પઠાણકોટમાં 1-1 દર્દીની પુષ્ટિ થઈ છે. આ સાથે પંજાબમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટિવ મામલાની સંખ્યા 66 પર પહોંચી છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ હજારને પાર કરી ગઈ છે અને અત્યાર સુધીમાં 70થી વધારે લોકોના મોત થયા છે.