હૈદ્રાબાદઃ કોરોનાના કહેરની વચ્ચે તેલંગાણા સરકારે મોટો નિર્ણય કર્યો છે. તેલંગાણા સરકારે સરકારી અધિકારી અને કર્મચારીઓ સહિત તમામ લોકોના પગારમાં 75 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્મય લેવા પાછળ કોરોના કારણે બગડતી આર્થિક સ્થિતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ખુદ પોતાના પગારમાં 75 ટકાનો ઘટાડો કરશે.


નોંધનીય છે કે, તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવની સરકારે છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, રાજ્યના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ, કર્મચારીઓના પગારમાં 75 ટકા સુધી ઘટાડો કરવામાં આવશે. ઉપરાંત પેંશનરોનું પેંશન પણ 50 ટકા સુધી કાપ મુકવામાં આવશે.

જાણો કોનો કેટલો પગાર કપાશે

મુખ્યમંત્રી, મંત્રી, એમએલસી, ધારાસભ્ય, સ્ટેટ કોર્પોરેશન ચેરપર્સન અને લોકલ પ્રતિનિધિતના પગારમાં 75 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જ્યારે આઈએએસ, આઈપીએસ, આઈએફએક અને મોટા અધિકારીઓનો પગાર 60 ટકા સુધી ઘટાડવામાં આવશે. ઉપરાંત તમામ અધિકારીઓનો પગાર 50 ટકા સુધી અને ક્લાસ-4 શ્રેણીના કર્મચારીઓના પગારમાં 10 ટકાનો કાપ મુકવામાં આવશે.

પેંશન પણ ઘટાડવામાં આવશે

પેંશનરોમાં તમામ ક્લાસ માટે 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે. ક્લાસ-4ના નિવૃત્ત કર્મચારીઓ માટે 10 ટકા ઘટાડો કરવામાં આવશે. તમામ સાર્વજનિક ઉપક્રમો, સંસ્થાઓ જે સરકારી કર્મચારી અને નિવૃત્ત કર્મચારીઓની જેમ જ પેંશન મેળવે છે તેમના પગારમાં પણ ઘટાડો કરવામાં આવશે. તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.

જોકે હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ પગાર ક્યાં સુધી કાપવામાં આવશે. કહેવાય છે કે આ મહિનાના પગારમાં આ ઘટાડો શક્ય છે. પરંતુ આ ઘટાડો માત્ર એક મહિના માટે છે કે આગળ પણ ચાલુ રહેશે. તેના વિશે સૂત્રોનું કહેવું છે કે મંગળવારે વિસ્તારથી આદેશ આપવામાં આવી શકે છે.