જયપુર : ભારતમાં કોરોના વાયરસના 82 કેસ સામે આવ્યા બાદ લોકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું છે. અલગ-અલગ રાજ્યોમાં યુદ્ધ સ્તર પર તેની સામે લડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજ્યમાં આગામી 30મી માર્ચ સુધી સ્કૂલ કૉલેજ, કોચિંગ સેન્ટર,જિમ અને થિયેટર બંધ રાખવાનો આદેશ કર્યો છે. શુક્રવારે મોડી રાત્રે સીએમ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જે બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.




દેશના મોટાભાગના રાજ્યોએ સ્કૂલ- કોલેજ બંધ કરવાથી જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવવા સુધીના પગલા ઉઠાવ્યા છે. જેમાં યુપી, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી તેવા રાજ્યોમાં સામેલ છે. જેમણે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે આ નિર્ણય લીધો છો.

બોર્ડની પરીક્ષા અને કૉલેજની પરીક્ષા પર રોક નહીં

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યુ કે WHO અને કેંદ્ર સરકારની માર્ગદર્શિકાને કારણે સ્કૂલ-કૉલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન બોર્ડની પરીક્ષા અને કૉલેજની પરીક્ષા પર રોક નહીં લાગે. મેડિકલ અને નર્સિંગ કૉલેજોનું કામ ચાલુ રહેશે. કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવ્યા બાદ બચાવ માટે શુક્રવારે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે આ મામલે પગલાં લેતા આગામી છ મહિના સુધી ડૉક્ટરી સેવાઓને અતિઆવશ્યક સેવા જાહેર કરી છે.

અશોક ગહલોત સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજ્યમાં સરકારી ઓફિસોમાં બાયોમેટ્રિક હાજરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વિધાનસભાની કાર્યવાહી 26મી માર્ચ સુધી સ્થિગિત

કોરોના વાયરસના ખતરાને જોતા રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી આગામી 26મી માર્ચ સુધી સ્થિગિત કરી દેવામાં આવી છે. શુક્રવારે ગૃહમાં બજેટ પાસ થયા બાદ વિધાનસભા અધ્યક્ષ ડૉક્ટર સીપી જોશીએ કોરોના વાયરસને પગલે 26મી માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી છે.