નવી દિલ્હીઃ ભારતમાં કોરના વાયરસની ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય તેમ જાણકારોનું કહેવું છે. ભારતમાં આઈસીએમઆર તથા એમ્સ-WHOના સીરો સર્વેમાં 67 ટકાથી વધારે વસતિમાં એન્ટીબોડી બની ગઈ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મોટાભાગનો લોકોએ વેક્સિન લઈ લીધી છે. આ સ્થિતિમાં જો વાયરસનું વધારે મ્યુટેશન નહીં થાય તો ત્રીજી લહેર બહુ ઘાતક નહીં બનવાની સંભાવના છે.

સીરો સર્વે મુજબ કોરોનાની ત્રીજી લહેર પ્રથમ અને બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય તેના ત્રણ મોટા કારણ છે.

  • પ્રથમ બે તૃતીયાંશ વસ્તીમાં એન્ટીબોડી મળી છે.
  • બીજું વેક્સિનેશન ચાલી રહ્યું છે અને 51 કરોડથી વધારે લોકોને રસીના ડોઝ અપાઈ ગયા છે.
  • ત્રીજું લોકો પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.

જાણકારોના કહેવા મુજબ જો ત્રીજી લહેર આવશે અને આ દરમિયાન વાયરસમાં ખૂબ મોટો બદલાવ થશે તો જ તે ઘાતક સાબિત થશે. ડેલ્ટા વેરિયંટે આશરે 80 ટકા વસતિને સંક્રમિત કરી હતી.

બુધવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 38,353 નવા કોરોના કેસ આવ્યા છે અને 497 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 40013 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે સક્રિય કેસોમાં 2,157 નો ઘટાડો થયો છે. હાલમાં દેશમાં એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા 3,86,351 છે, જે છેલ્લા 140 દિવસમાં સૌથી ઓછી છે. તે જ સમયે, રિકવરી રેટ વધીને 97.45% થયો છે.

કોરોના ચેપના કુલ કેસ

રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 20 લાખ 36 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 29 હજાર 197 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 12 લાખ 20 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 86 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 20 લાખ 36 હજાર, 511
  • કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 12 લાખ 20 હજાર 981
  • કુલ એક્ટિવ કેસ - ત્રણ લાખ 86 હજાર 351
  • કુલ મૃત્યુ - ચાર લાખ 29 હજાર 179
  • કુલ રસીકરણ - 51 કરોડ 90 લાખ ડોઝ આપવામાં આવ્યા