Covid-19 Vaccine Heart Attack News: કોવિડ-19 સ્થાનિક બિમારી બનવાની અણી પર છે, પરંતુ દેશના વૈજ્ઞાનિકો તેના દરેક નવા પ્રકાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ સાથે સરકાર પણ હાઈ એલર્ટ યથાવત રાખશે. પરંતુ ચિંતાનો વિષય છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કારણે લોકોના થઈ રહેલા ઓચિંતા મોત છે. જેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. સૌથો મોટો સવાલ એ છે કે, શું કોરોનાની વેક્સીનના કારણે લોકોના હાર્ટ એટેક આવી રહ્યાં છે અને મોતને ભેટી રહ્યાં છે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ સવાલનો જવાબ આપ્યો હતો. 

Continues below advertisement


મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોવિડ રસી સંબંધિત સંશોધનથી લઈને તેની અરજી સુધીની સમગ્ર પ્રક્રિયામાં તમામ સ્થાપિત આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું. વિવિધ શારીરિક અને સામાન્ય પ્રક્રિયાઓને કારણે અગાઉ રસી બનાવવામાં અને મંજૂર કરવામાં વધુ સમય લાગતો હતો, પરંતુ આ વખતે અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને તેથી આખી પ્રક્રિયા થઈ શકી છે. 


રસીથી હાર્ટ એટેકને લઈને કહ્યું કે...


મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રસી માટે આપવામાં આવેલી મંજૂરી લાંબા ગાળાની આડઅસરોને ધ્યાનમાં લીધા વિના ઉતાવળમાં કરવામાં આવી હતી અને આ જ કારણ છે કે તાજેતરમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કોવિડ મેનેજમેન્ટથી લઈને રસીના સંશોધન અને રસીકરણ અભિયાન માટે મંજૂરી સુધીની તમામ પ્રક્રિયાઓ માટે શરૂઆતથી જ વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું હતું.


મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, અમે રોગચાળા સામે લડવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કર્યું. ડેટા વિશ્લેષણ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. ભારતે એ જ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કર્યું જે વૈશ્વિક કંપનીઓ અનુસરે છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી તરીકે મનસુખ માંડવિયા પાસે ફાર્માસ્યુટિકલ્સ વિભાગનો હવાલો પણ છે, જે તેમણે લાંબા સમયથી સંભાળ્યો છે. આમ માંડવીયાએ કોવિડ રસીના કારણે તાજેતરમાં કાર્ડિયાક અરેસ્ટના કેસોમાં વધારો થવાના સમાચારને પણ નકારી કાઢ્યા છે.


 રસી કેમ વહેલી મંજૂર કરવામાં આવી? તેને લઈ કર્યો ખુલાસો


સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, આ બધું ખરેખર ભારતમાં ખૂબ જ ઝડપથી થયું છે, પરંતુ આ ઝડપી પ્રક્રિયા પર સવાલ ઉઠાવનારાઓએ સમજવું જોઈએ કે મંજૂરી કેમ ઝડપથી મળી. તેમણે કહ્યું હતું કે, પહેલા ડેટા એકત્ર કરવામાં આવતો હતો, તેનું વિશ્લેષણ કરવામાં આવતું હતું અને બીજી ઘણી પ્રક્રિયાઓ કરવામાં આવતી હતી. જેમાં ઘણો સમય લાગતો હતો.પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે આપણી પાસે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ ટેક્નોલોજી છે, જેની મદદથી આપણે કામને ઝડપી બનાવી શકીએ છીએ.


ICMRએ પણ કર્યો અભ્યાસ 


દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કાર્ડિયાક અરેસ્ટ અને કોવિડ-19 રસીથી થતા મૃત્યુમાં અચાનક થયેલા વધારા વચ્ચેની સંભવિત કડી પર એક અભ્યાસ હાથ ધર્યો છે. જે આગામી બે અઠવાડિયામાં સામે આવી શકે છે. મનીકંટ્રોલે ICMRના ડાયરેક્ટર જનરલ રાજીવ બહેલને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાર્ટ એટેક અને કોવિડ વેક્સીન વચ્ચેની કડી શોધવા માટે સંશોધકોએ ચાર અલગ-અલગ અભ્યાસ કર્યા છે.