નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 26 લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે આ સંક્રમણના કારણે 50 હજારથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 17 ઓગષ્ટ સુધી ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 26,47,663 છે જ્યારે સંક્રમણથી 50,921 દર્દીઓના મોત થયા છે.


ભારતમાં 1 લાખ સંક્રમણના કેસ સુધી પહોંચવામાં 110 દિવસ લાગ્યા. પરંતુ ત્યારબાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા. 26 લાખથી વધુ કેસ સુધી પહોંચવામાં 200 દિવસનો સમય લાગ્યો. એટલે કે 90 દિવસમાં 25 લાખ કેસ સામે આવ્યા છે.

ભારતમાં સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીઓનો આંકડો 50 હજારને પાર થયો છે. ભારતમાં 156 દિવસમાં 50 હજાર દર્દીઓના કોરોના સંક્રમણથી મોત થયા છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ યૂએસમાં માત્ર 23 દિવસમાં 50 હજાર લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 95 દિવસમાં અને મેક્સિકોમાં 141 દિવસમાં 50 હજાર લોકોના મોત થયા છે. જ્યારે આ દેશોમાં સંક્રમણથી મોત પણ વધારે થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,584 દર્દી સ્વસ્થ થયા છે. જે સાજા થયેલા દર્દીઓનો અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ દરમિયાન 57,982 નવા મામલા સામે આવ્યા છે અને 941 લોકોના કરૂણ મોત થયા છે. આ દરમિયાન 7,31,697 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 72.51 ટકા અને મૃત્યુદર 1.92 ટકા છે.