નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની અર્થવ્યવ્થા પર મોટી અસર થઇ છે. કેન્દ્ર સરકારે કરોડો સરકારી કર્મચારીઓને ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દીધી છે. કોરોના વાયરસના કારણે પેદા થયેલા આર્થિક સંકટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લીધો છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા પર રોક લગાવી દીધી છે. આ રોક એક જૂલાઇ 2021 સુધી ચાલુ રહેશે. સરકારનો આ નિર્ણય કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનધારકો પર લાગુ થશે.




સરકારે જે નિર્ણય લીધો છે તે અનુસાર, એક જાન્યુઆરી 2020, ત્યારબાદ 1 જૂલાઇ 2020 અને એક જાન્યુઆરી 2021થી મોંઘવારી ભથ્થાના વધારા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ સરકારે સ્પષ્ટ કર્યું હતુ કે, ભવિષ્યમાં આ મોંઘવારી ભથ્થુ એરિયર તરીકે પણ નહી મળે. નોંધનીય છે કે સરકારે છેલ્લા મહિને જ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી અને કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધારીને 21 ટકા કરી દીધું હતું પરંતુ હવે આ વધેલું મોંઘવારી ભથ્થું પણ મળશે નહીં.

નાણામંત્રાલયે કહ્યુ કે, કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી આપનારા મોંઘવારી ભથ્થા અને કેન્દ્ર સરકારના પેન્શનધારકોને મળનારા મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો નહી આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વધેલા મોંઘવારી ભથ્થા માટે છે.  વર્તમાન દરો પર મોંઘવારી ભથ્થાનું પેમેન્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકારના આ નિર્ણયની અસર લગભગ 54 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે. નાણા મંત્રાલના અંદાજ અનુસાર, આ નિર્ણયથી સરકારને માર્ચ 2021 સુધીમાં અંદાજીત 27 હજાર કરોડ રૂપિયા બચશે.