હરિયાણા: 15 દિવસ પહેલા કોવિડ-19ની રસી લેનાર હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેઓએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું કોરોનાથી સંક્રમિત થયો છું. હાલ સિવિલ હોસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓને સલાહ છે કે, પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.


મોટી વાત એ છે કે, અનિલ વિજે કોવેક્સીનના ટ્રાયલમાં વોલિન્ટિયર તરીકે Covaxinની રસી લીધી હતી. તેના બાદ પણ તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે.



ભારત બાયોટેક અને ICMRની દવા કોવેક્સીનના ત્રીજા તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે પહેલા જ જાહેરાત કરી હતી કે, તેઓ કોવેક્સીન પરીક્ષણમાં વોલિન્ટિયર તરીકે ખુદ સૌથી પહેલા કોરોનાની રસી લેશે.


ઉલ્લેખનીય છે કે, વેક્સીનનું પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ અને વિશ્લેષણ સફળ રહ્યું છે અને 20 નવેમ્બરથી ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાના માનવ પરિક્ષણમાં કુલ એક હજાર વોલિન્ટિયર્સને આ વેક્સીન લગાવી હતી. આ વેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ભારતમાં 25 કેન્દ્રોમાં 26 હજાર લોકો સાથે કરવામાં આવી રહ્યું છું. આ કોવિડ -19 વેક્સીન માટે આયોજિત થનાર સૌથી મોટું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ છે.