નવી દિલ્હીઃ 84 દંગાના મામલામાં 10 વર્ષની સજા કાપી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવનું કોરોનાથી મોત થયું છે. તેઓ 70 વર્ષના હતા. યાદવ પાલમ વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે અને 84 દંગાના મામલામાં સીબીઆઈ દ્વારા કરાયેલી તપાસમાં એક મામલે કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. તિહાડ જેલમાં કોરોનાથી થયેલું આ બીજું મોત છે.


તિહાડ જેલના અધિકારી સંદીપ ગોયલના જણાવ્યા મુજબ, મહેન્દ્ર યાદવ તિહાડ જેલની સબ જેલ મંડોલી જેલ નંબર 14માં સજા કાપતા હતા. આ જેલમાં કંવર સિંહ નામના એક કેદીનું 15 જૂને મોત થયું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેલ તંત્ર દ્વારા જે બાદ બેરકમાં બંધ તમામ 29 કેદીનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં 17 કેદી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા, જ્યારે 12નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જે 12 કેદીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા તેમના 5 દિવસ બાદ ફરીથી કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં મહેન્દ્ર યાદવનું નામ પણ સામેલ હતું. 26 જૂનની સાંજે મહેન્દ્ર યાદવની તબિયત લથડી હતી અને હૃદય સંબંધી કેટલીક પરેશાની પણ થઈ હતી. જે બાદ તેમને તાત્કાલિક પહેલા દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ અને તે બાદ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ લઈ જવાયા હતા.

લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેના પરિવારજનોએ તિહાડ જેલ તંત્રને યાદવને પોલીસ સુરક્ષામાં પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવવાની અરજી કરી હતી. પરિવારજનોની અરજી પર પોલીસ સુરક્ષામાં તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

તિહાડમાં કુલ 53 કેદી કોરોના પોઝિટિવ છે, જેમાંથી 31 ઠીક થઈ ચુક્યા છે અને બેના મોત થયા છે. જ્યારે જેલ સ્ટાફમાં અત્યાર સુધીમાં કુલ 88 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને 28 લોકો સ્વસ્થ થઈ ગયા છે.