નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા ભારતીય જનતા પાર્ટી(BJP)એ પૂરી તાકાત લગાવી દીધી છે. દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શનિવારે ઉત્તરપ્રદેશના સીએમ અને ભાજપના સ્ટાર પ્રચારક પૈકીના એક યોગી આદિત્યનાથે ચૂંટણી સભાઓ ગજવી હતી. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના કેંટ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. અહીંયા તેઓ મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત ડોર-ટૂ-ડોર કેમ્પેન કરશે. જે બાદ સાંજે 6.45 કલાકે બુરાડીમાં ચૂંટણી સભાને સંબોધશે.


ગૃહમંત્રી શાહની જેમ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ મહા જન સંપર્ક અભિયાન અંતર્ગત ડોર-ટૂ-ડોર કેમ્પેન કરશે. તેઓ ગ્રેટર કૈલાશથી અભિયાનની શરૂઆત કરશે. આ ઉપરાંત રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની અને યોગી આદિત્યનાથ પણ ચૂંટણી સભા ગજવશે. દિલ્હીમાં ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ સતત એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. એક બાજુ આમ આદમી પાર્ટી સત્તા ટકાવી રાખવા પૂરુ જોર લગાવી રહી છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સત્તામાં આવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે.


 11 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ

દિલ્હીની કુલ 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020ના રોજ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આ વખતે દિલ્હીમાં કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે અને 2689 સ્થળ પર વોટિંગ થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે.

2015માં BJPને મળી હતી માત્ર 3 સીટ

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.

લોકસભામાં ભાજપે મારી બાજી

2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.