નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ બિહારમાં સતત વધી રહ્યા છે. તેની વચ્ચે સૌથી મોટો પડકાર આ વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીને જોવામાં આવે છે. કઈ રીતે મતદાન થશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેમ થશે, આ પ્રશ્નોની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે સિનિયર સીટિઝન પોતાનો મત કઈ રીતે આપશે.


ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે બિહાર વિધાનસભા ચુંટણીમાં 65 વર્ષથી મોટી ઉંમરવાળી વ્યક્તિને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પરવાનગી નહીં અપાય. આ સાથે જ ચૂંટણી પંચે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં 80 વર્ષથી મોટી ઉંમરના મતદારો, દિવ્યાંગો અને કોવિડ-19 દર્દીઓ માટે વૈકલ્પિક પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો 65 વર્ષથી મોટી ઉંમરવાળી વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ, ડાયાબિટીશ અને કિડનીની બીમારીઓ સહિત જૂની બીમારી હોય તેમને વધુ છે. મેડિકલ એક્સપર્ટ અને સરકારે પણ સતત આવા લોકોને બહાર ન નિકળવા કહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે ચૂંટણી પંચ 65 વર્ષથી મોટી ઉંમરવાળી વ્યક્તિને પોસ્ટલ બેલેટના માધ્યમથી મતની સુવિધા આપવામાં આવશે, પરંતુ ચૂંટણી પંચે ઈનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલની વ્યવસ્થામાં સેના, અર્ધ સૈનિક દળના જવાનો અને વિદેશોમાં કાર્યરત સરકારી કર્મચારીઓ અને ચૂંટણી ફરજમાં તૈનાત કર્માચારીઓને જ પોસ્ટલ બેલેટથી મત આપવાનો અધિકાર છે.