નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ સંબંધિત આજે ચોથી જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે કહ્યું, “આઠ સેક્ટર વિશે જાહેરાત છે. પ્રથમ કોલસા સેક્ટરને પ્રાઈવેટ સેક્ટર માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. આ ક્ષેત્રમાં આધારભૂત સંરચનાના વિકાસ માટે 50 હજાર કરોડ રૂપિયા ફાળવવામં આવ્યા છે.


તેઓએ કહ્યું કે, કોલસા સેક્ટરમાં કર્મશિયલ માઈનિંગ થશે અને સરકારનો એકાધિકાર ખતમ થઈ જશે. કોલસા ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા કેવી રીતે બને અને કઈ રીતે ઓછામાં ઓછું આયાત કરવું પડે, તેના પર કામ કરાશે. વધારેમાં વધારે ખનનન થઈ શકે અને દેશના ઉદ્યોગોને ગતિ મળે.



50 એવા નવા બ્લોક હરાજી માટે ઉપલબ્ધ કરાશે. પાત્રતા માટે મોટી શરતો નહીં રાખવામાં આવે. કોલ ઈન્ડિયા લિમિટેડની માઈન્સ પણ પ્રાઈવેટ સેક્ટરને આપવામાં આવશે. તેઓએ કહ્યું, એક મિનરલ ઈન્ડેક્સ બનાવવામાં આવશે. 500 માઈનિંગ બ્લોકની હરાજી કરાશે.


આ ઉપરાંત સીતારમણે કહ્યું કે, ઈન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે લેન્ડ બેક, ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે. હવે ટેક્નોલોજીના ઉપયોગ કરીને જીઆઈએસ મેપિંગ દ્વારા પાંચ લાખ હેક્ટર જમીન ભવિષ્યના ઉપયોગ માટે તમામ ઈન્ડસ્ટ્રિયલ પાર્કની રેન્કિંગ થશે.

નાણામંત્રીએ કહ્યું, અનેક ક્ષેત્રમાં નીતિઓને સરળ બનાવવાની જરૂર છે. જેથી લોકોને સમજવામાં સરળતા રહે કે આ ક્ષેત્રમાંથી શું મળી રહ્યું છે. લોકોની ભાગીદારી વધે અને પારદર્શિતા આવે. જેનાથી કોઈ ક્ષેત્રના વિકાસ અને નોકરીઓને પ્રત્સાહન આપી શકીએ.